રાજેશ્વરી સચદેવ કોરોના સંક્રમિત થતા હૉમ ક્વૉરન્ટીન

17 September, 2020 04:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજેશ્વરી સચદેવ કોરોના સંક્રમિત થતા હૉમ ક્વૉરન્ટીન

વરુણ બડોલા અને રાજેશ્વરી સચદેવ

ટીવી સેલેબ્ઝમાં કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણના કેસ ધીમે ધીમે વધી રહ્યાં છે. તાજેતરમાં સિરિયલ શાદી મુબારક દ્વારા કમબૅક કરનારી અભિનેત્રી રાજેશ્વરી સચદેવ (Rajeshwari Sachdev) પણ કોરોનાની ચપેટમાં આવી ગઈ છે. કોરોનાનું સંક્રમણ થતા અભિનેત્રી હૉમ ક્વૉરન્ટીનમાં છે. જ્યારે પતિ વરુણ બડોલા (Varun Badola)નો કોરોના રિપોર્ટ હજી આવ્યો નથી.

રાજેશ્વરી સચદેવને છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના માઇલ્ડ સિમ્પટમ અનુભવાતા હતા. ત્યારબાદ અભિનેત્રીએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. મંગળવારે ટેસ્ટ કરવામાં આવ્યો અને બુધવારે રાત્રે રિપોર્ટ આવ્યો હતો. ત્યારે ખબર પડી કે કોરોના પૉઝિટિવ છે. રાહતના સમાચાર એ છે કે, રાજેશ્વરી છેલ્લા કેટલાક દિવસોથી શૂટિંગ નહોતી કરતી.

રાજેશ્વરી સચદેવે પોતે કોરોના સંક્રમિત થઈ હોવાની જાણ સોશ્યલ મીડિયા દ્વારા કરી હતી. તેણે લખ્યું હતું કે, 'હેલો એવરીવન! થઇ ગયો મને પણ...મારો કોરોના વાયરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. મને લક્ષણો લાગતા જ મે ટેસ્ટ કરાવ્યો હતો અને પોતાની જાતને આઇસોલેટ કરી લીધી હતી. અત્યારે હું હૉમ ક્વૉરન્ટીનમાં છું. ડૉક્ટરના સુપરવિઝનમાં છું અને બધુ અન્ડર કન્ટ્રોલ છે. હું વિનંતી કરું છું કે જે લોકો પણ છેલ્લા થોડાક દિવસમાં મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ ટેસ્ટ કરાવી લે અને સલામત રહે. હવે બધા દુઆ કરજો કે હું જલ્દી ઠીક થઈ જાવ. હું પ્રાર્થના કરું છું કે બધા સલામત અને કોરોના મુક્ત રહે.'

અભિનેત્રીનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ ગુરુવારે એટલે કે આજે વરુણ બડોલા અને દીકરીએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, વરુણ બડોલા અત્યારે અભિનેત્રી શ્વેતા તિવારી સાથે મેરે ડેડ કી દુલ્હનનું શૂટિંગ કરે છે. પરંતુ હવે તે શૂટિંગ કરવા નહીં જાય. જ્યા સુધી રિપોર્ટ નહીં આવે ત્યા સુધી વરુણ બડોલાએ શૂટિંગ અને સેટથી દુર રહેવાનો નિર્ણય કર્યો છે.

coronavirus covid19 entertainment news indian television television news varun badola