27 June, 2020 09:45 PM IST | Mumbai | Agencies
કરણ પટેલ
કરણ પટેલનું કહેવું છે કે ‘કસૌટી ઝિંદગી કી’માં મિસ્ટર બજાજનું પાત્ર ભજવવું એ એક લાઇફના સર્કલ જેવું છે. ‘કસૌટી ઝિંદગી કી’ શો ૨૦૦૧થી ૨૦૦૮ સુધી દેખાડવામાં આવ્યો હતો. એ વખતે રોનિત રૉય મિસ્ટર બજાજની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ સિરિયલથી તેને ખૂબ લોકપ્રિયતા મળી હતી. આ શોની સેકન્ડ સીઝન આવતાં કરણ સિંહ ગ્રોવરે મિસ્ટર બજાજનું પાત્ર ભજવ્યું હતું. જોકે હવે તેને રિપ્લેસ કરવામાં આવતાં આ રોલ કરણ પટેલને મળ્યો છે. એ વિશે કરણે કહ્યું હતું કે ‘હું મિસ્ટર બજાજના પાત્રને લઈને ખૂબ ઉત્સાહિત છું અને એનું શૂટિંગ ટૂંક સમયમાં કરવાના છીએ. ૩ મહિના બાદ શૂટિંગ શરૂ કરવાથી એ ખૂબ જ મજેદાર રહેવાનું છે. ખાસ વાત તો એ છે કે ઓરિજિનલ શોમાં મેં મિસ્ટર બજાજના દીકરાના ફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી. હવે હું મિસ્ટર બજાજનું પાત્ર ભજવવાનો છું. એથી લાઇફ એક સર્કલ સમાન લાગે છે.’