08 November, 2019 11:36 AM IST | Mumbai
મલ્હાર પંડ્યા
જાદુટોણા અને પોતાની ‘નઝર’ દ્વારા લોકોને મારતી ૨૫૦ વર્ષની ડાયન મોહાના રાઠોડની સામે હવે એક પાવરફુલ રાક્ષસ આવી રહ્યો છે. યસ, આપણે સ્ટાર પ્લસ પર આવતા સુપરનૅચરલ થ્રિલર શો ‘નઝર’ની વાત કરી રહ્યા છીએ જેમાં મોહાના રાઠોડ નામની એક ડાયનનું પાત્ર મુખ્ય છે જે ‘મોનાલિસા’ તરીકે જાણીતી અભિનેત્રી અંતરા બિશ્વાસ ભજવી રહી છે. આ શોમાં તેના જોનર મુજબ હૉરર અને સુપરનૅચરલ ઘટનાઓ ઘટતી રહે છે. હવે આ સ્ટોરીલાઇનમાં વધુ ટ્વિસ્ટ્સ ઉમેરવા મેકર્સ એક નવું કૅરૅક્ટર ઉમેરવા જઈ રહ્યા છે જે અભિનેતા મલ્હાર પંડ્યા ભજવશે.
છેલ્લે ઝી ટીવીના શો ‘અઘોરી’ માં દેખાયેલા મલ્હારે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું કે ‘હું અંગદ નામના રાક્ષસનું પાત્ર ભજવી રહ્યો છું. જેમ મોહાના ડાયન છે તેમ મારું પાત્ર ડીમન (રાક્ષસ) છે રાધર, ડીમન્સનો રાજા છે. એટલે કે મોનાલિસાનું પાત્ર જેટલું પાવરફુલ છે એટલું જ મારું પાત્ર પણ પાવરફુલ છે. બેઝિકલી મારું કૅરૅક્ટર ‘નઝર’માં નેગેટિવ છે.’
‘મિસ્ટર ગુજરાત’ રહી ચૂકેલો મલ્હાર ‘અઘોરી’ પહેલાં ‘દેવોં કે દેવ મહાદેવ’, ‘રામાયણ’, ‘કસમ તેરે પ્યાર કી’, ‘કવચ’ અને ‘ઇશ્કબાઝ’ સહિતના શો ઉપરાંત ગુજરાતી ફિલ્મ પણ કરી ચૂક્યો છે. જોવાનું એ છે કે અંગદ અને મોહાના વચ્ચેનું સામસામું યુદ્ધ દર્શકોને કેટલું પસંદ પડે છે.