14 August, 2020 03:10 PM IST | Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent
પાર્થ સમથાન
કસૌટી ઝીંદગી કી 2(Kasautii Zindagii Kay 2)ના નવા એપિસોડ્સ ચાહકોને એન્ટરટેઇન કરી રહ્યા છે. ત્યારે શૉના ચાહકો માટે એક નિરાશ કરતા સમાચાર છે. હકીકતે, ચર્ચા છે કે શૉમાં અનુરાગનું પાત્ર ભજવનાર પાર્થ સમથાને(Parth Samthaan) શૉ છોડી દીધો છે. તે પોતાના અન્ય પ્રૉજેક્ટ્સ પર ધ્યાન આપવા માગે છે, તેથી તેણે આ શૉ છોડી દીધો છે.
પિન્કવિલાના સોર્સ દ્વારા મળતી માહિતી પ્રમાણે, પાર્થ હવે પોતાના સ્વાસ્થ્ય અને અન્ય પ્રૉજેક્ટ્સ પર ફોકસ કરવા માગે છે, જેના પર તે વાતચીત કરી રહ્યો છે. એકતા કપૂર પાર્થને શૉમાં પાછાં લાવવા માટે મનામણીના પ્રયત્નો કરી રહી છે, પણ એક્ટરે શૉમાંથી બહાર થવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ દરમિયાન પ્રૉડક્શને પાર્થના રિપ્લેસમેન્ટ પર વિચાર કરવાનું શરૂ કરી દીધું છે, પણ એ થોડું મુશ્કેલ લાગી રહ્યું છે.
જણાવવાનું કે પાર્થે 12 જુલાઇથી પોતાના શૉનું શૂટિંગ બંધ કરી દીધું હતું. તે કોરોના પૉઝિટીવ આવ્યો હતા. આ કારણ હતું કે તે શૂટ પર જતો નહોતો. પાર્થનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા બાદ કસૌટી ઝીંદગી કી 2ના શૂટિંગ સ્ટૂડિયોને 2-3 દિવસ માટે સીલ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે સ્ટૂડિયો ફરી શરૂ કરવામાં આવ્યો તો શૂટિંગ શરૂ કરતાં પહેલા કસૌટી ઝીંદગી કીના અન્ય એક્ટર્સ અને ક્રૂ મેમ્બર્સના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
પાર્થે આપી કોરોનાને માત
26 જુલાઇના પાર્થે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને પોતાના ચાહકોને જણાવ્યું હતું કે તેનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આની સાથે જ પાર્થે તેની માટે પ્રાર્થના કરવા બદલ બધાંનો આભાર પણ માન્યો હતો. કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા અને ક્વૉરંટાઇનમાં રહ્યા બાદ પણ પાર્થ સમથાને શૂટિંગ શરૂ કરવા પહેલા એક અઠવાડિયાનો બ્રેક લીધો. તેના પછી પાર્થે શૂટિંગ શરૂ કર્યું તેવા સમાચાર પણ આવ્યા હતા.