નાગિન 4 માટે પીત્ઝા અને બટરચિકનથી દૂર રહે છે જાસ્મિન

21 November, 2019 10:05 AM IST  |  Mumbai | Harsh Desai

નાગિન 4 માટે પીત્ઝા અને બટરચિકનથી દૂર રહે છે જાસ્મિન

જાસ્મિન ભસીન

‘દિલ સે દિલ તક’માં જોવા મળેલી જાસ્મિન ભસીન હવે નાગિનના પાત્રમાં જોવા મળશે. ‘નાગિન 4’ માટે તેણે ઘણી મહેનત કરી છે. આ પાત્ર માટે તેણે ભોજન પર ખૂબ જ કાળજી રાખી છે. જાસ્મિન ફૂડી છે, પરંતુ તે હાલમાં ઘણી વાનગીઓથી દૂર રહે છે. એકતા કપૂરના આ શોમાં તે નાગિન નયનતારાનું પાત્ર ભજવી રહી છે. આ વિશે વધુ જણાવતાં જાસ્મિને કહ્યું હતું કે ‘મેં ‘નાગિન 4’ને એટલા માટે સ્વીકાર્યો હતો કે એ નંબર-વન શો છે. આ શોમાં કામ કરવું મારા માટે એક મોટી તક છે. જોકે હું એ માટે ચોક્કસ નહોતી, પરંતુ જ્યારે નરેશન અને મીટિંગ કરવામાં આવી ત્યાર બાદ મેં નક્કી કરી લીધું કે મારે આ શો કરવો જ છે.’
આ શોની અગાઉની ત્રણ સીઝનમાં મૌની રૉય, અદા ખાન, સુરભી જ્યોતિ, અનીતા હસનંદાની અને કરિશ્મા તન્ના જેવી હિરોઇનોએ નાગિનની ભૂમિકા ભજવી હતી. આ પાત્ર વિશે વાત કરતાં જાસ્મિને કહ્યું હતું કે ‘મારા પર સારું પર્ફોર્મ કરવાનું પ્રેશર છે, કારણ કે તમામ સીઝન સુપરહિટ રહી છે. આ સીઝન પણ સુપરહિટ રહેવી જરૂરી છે. પર્ફોર્મન્સ ખૂબ જ મહત્ત્વનો છે અને મારા પર એ જ પ્રેશર છે. આ માટે મારે શેપમાં આવવું જરૂરી હતું. પહેલાંની નાગિન દ્વારા સ્ટાન્ડર્ડ ખૂબ જ હાઈ રાખવામાં આવ્યું હોવાથી મારે મારો પહેલો પ્રેમ - ફૂડ - નો ત્યાગ કરવો પડ્યો છે. આ માટે મારે બટરચિકન અને પીત્ઝા છોડવા પડ્યાં છે અને કસરત પણ ખૂબ જ કરી રહી છું.’

naagin ekta kapoor