21 November, 2019 10:05 AM IST | Mumbai | Harsh Desai
જાસ્મિન ભસીન
‘દિલ સે દિલ તક’માં જોવા મળેલી જાસ્મિન ભસીન હવે નાગિનના પાત્રમાં જોવા મળશે. ‘નાગિન 4’ માટે તેણે ઘણી મહેનત કરી છે. આ પાત્ર માટે તેણે ભોજન પર ખૂબ જ કાળજી રાખી છે. જાસ્મિન ફૂડી છે, પરંતુ તે હાલમાં ઘણી વાનગીઓથી દૂર રહે છે. એકતા કપૂરના આ શોમાં તે નાગિન નયનતારાનું પાત્ર ભજવી રહી છે. આ વિશે વધુ જણાવતાં જાસ્મિને કહ્યું હતું કે ‘મેં ‘નાગિન 4’ને એટલા માટે સ્વીકાર્યો હતો કે એ નંબર-વન શો છે. આ શોમાં કામ કરવું મારા માટે એક મોટી તક છે. જોકે હું એ માટે ચોક્કસ નહોતી, પરંતુ જ્યારે નરેશન અને મીટિંગ કરવામાં આવી ત્યાર બાદ મેં નક્કી કરી લીધું કે મારે આ શો કરવો જ છે.’
આ શોની અગાઉની ત્રણ સીઝનમાં મૌની રૉય, અદા ખાન, સુરભી જ્યોતિ, અનીતા હસનંદાની અને કરિશ્મા તન્ના જેવી હિરોઇનોએ નાગિનની ભૂમિકા ભજવી હતી. આ પાત્ર વિશે વાત કરતાં જાસ્મિને કહ્યું હતું કે ‘મારા પર સારું પર્ફોર્મ કરવાનું પ્રેશર છે, કારણ કે તમામ સીઝન સુપરહિટ રહી છે. આ સીઝન પણ સુપરહિટ રહેવી જરૂરી છે. પર્ફોર્મન્સ ખૂબ જ મહત્ત્વનો છે અને મારા પર એ જ પ્રેશર છે. આ માટે મારે શેપમાં આવવું જરૂરી હતું. પહેલાંની નાગિન દ્વારા સ્ટાન્ડર્ડ ખૂબ જ હાઈ રાખવામાં આવ્યું હોવાથી મારે મારો પહેલો પ્રેમ - ફૂડ - નો ત્યાગ કરવો પડ્યો છે. આ માટે મારે બટરચિકન અને પીત્ઝા છોડવા પડ્યાં છે અને કસરત પણ ખૂબ જ કરી રહી છું.’