05 April, 2026 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચાહર ચૌધરી
એકતા કપૂરનો બહુ ગાજેલો શો ‘નાગિન 7’ શરૂ થયાના માત્ર 3 મહિના પછી જ બંધ થઈ શકે છે. શરૂઆતમાં ભારે લોકપ્રિયતા મેળવનાર આ શોનું રેટિંગ હવે સતત ઘટી રહ્યું છે અને આ માટે નબળી વાર્તા અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના વધુ પડતા ઉપયોગને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આ સંજોગોમાં રિપોર્ટ છે કે આ શો જલદી જ બંધ થઈ શકે છે.
મેકર્સે ૨૦૨૫ની ૨૫ ડિસેમ્બરે ‘નાગિન 7’નું પ્રીમિયર કર્યું હતું અને પહેલા જ એપિસોડે ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP)ના જૂના રેકૉર્ડ તોડી નાખ્યા હતા. શરૂઆતના બે મહિના સુધી શોએ સારું પ્રદર્શન કર્યું, પરંતુ એ પછી વાર્તા અને પ્રેઝન્ટેશનને લઈને દર્શકોનો રસ ઘટવા લાગ્યો છે. શોમાં VFXને બદલે AIના ઉપયોગે મેકર્સની મુશ્કેલીઓ વધારી દીધી. એકતા કપૂરે બજેટ બચાવવા માટે AI દ્વારા વિઝ્યુઅલ્સ તૈયાર કરાવ્યાં જેને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યાં. આ સિવાય ચાહકોનું માનવું છે કે મૌની રૉયનો આ શોમાં મુખ્ય રોલ હતો અને લીડ ઍક્ટ્રેસ પ્રિયંકા ચાહર ચૌધરી એ જાદુ પેદા કરી શકી નહીં જેના કારણે શો ટૉપ-10ની યાદીમાંથી બહાર થઈ ગયો. મળતી માહિતી પ્રમાણે ઘટતા રેટિંગ્સને કારણે ચૅનલ અને મેકર્સ એને બંધ કરવાનો નિર્ણય લઈ ચૂક્યા છે, પણ હજી સત્તાવાર જાહેરાત નથી કરાઈ.