22 April, 2020 10:49 AM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
શુટિંગ દરમિયાન લૉકડાઉનની જાહેરાત થઇ અને કલાકારો ક્રુ સહિત ફસાયા.
'રાધાકૃષ્ણ' ની મુખ્ય કાસ્ટ સુમેધ મુદગલકર, મલ્લિકા સિંહ, નિમાઇ બાલી અને લગભગ 180 ક્રૂ સભ્યો મહારાષ્ટ્ર સરહદ પર આવેલા ઉમરગાંવમાં શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન લૉકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી અને આખી ટીમ ત્યાં અટવાઈ ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રોડક્શન હાઉસે ત્યાંથી તમામ જરૂરી ચીજોની વ્યવસ્થા કરી દીધી છે. આ શોમાં રાધાની ભૂમિકા નિભાવનારી મલ્લિકા સિંઘની માતા પણ તેમની સાથે ત્યાં રોકાઈ છે.
એક વાતચીતમાં મલ્લિકાએ કહ્યું, "આ વખતે મામલો જુદો છે. અમને લાગ્યું કે લૉકડાઉન થોડા દિવસોમાં દૂર થઈ જશે પણ સંજોગો જોતા લાગે છે કે આ સ્થિતિ લંબાશે. જો કે સલામતી માટે એ જરૂરી પણ છે. સ્વસ્તિક પ્રોડક્શન્સએ અમને ઉમરગાંવના તમામ કલાકારો માટે ફ્લેટ આપ્યો છે. અમે અહીં અનુકૂળ રીતે રહીએ છીએ. અહીં તમામ પ્રકારની ખાણી-પીણીની સુવિધા ઉપલબ્ધ છે. પણ ડૉક્ટર દર બીજા દિવસે આવે છે અને અમારું ટેમ્પ્રેચર તપાસે છે. અમે જ્યાં રહી છે તે જગ્યા સેનેટાઇઝ કરાઇ છે."
મુંબઇ મિરરનાં એક રિપોર્ટ અનુસાર સુમેધે એક વાતચીતમાં કહ્યું, "મારે કોઇક કામ માટે રોકાવું પડ્યું હતું. મને ખબર નહોતી કે લૉકડાઉન થશે. હવે સ્થિતિ એ છે કે લૉકડાઉનનો બીજો તબક્કો પણ લાગુ પડી ગયો છે. આ સમયે સૌથી મહત્વની બાબત સલામત રહેવાની છે. અહીં મારા ઉપરાંત બીજા લોકો પણ છે અને અમે અંતર જાળવીને અલગ રહીએ છીએ."