08 March, 2023 08:33 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અર્ચના ગૌતમ
રિયાલિટી શો બિગ બોસ-16 (Bigg Boss 16)ની ટોપ-5 ફાઇનલિસ્ટ અર્ચના ગૌતમ(Archana Gautam)ને ધમકી આપવા બદલ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi)ના પીએ સંદીપ સિંહ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ માહિતી મેરઠના એસપી દ્વારા આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે અર્ચના ગૌતમની ફરિયાદ પર સંદીપ સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. તેણે મેરઠના પરતાપુર પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાવ્યો છે.
સંદીપ સિંહ પ્રિયંકા ગાંધીને મળવા દેતા ન હતા
અર્ચના ગૌતમના પિતાએ આરોપ લગાવ્યો છે કે સંદીપ સિંહે તેમની પુત્રી માટે માત્ર જાતિવાદી શબ્દોનો ઉપયોગ કર્યો નથી, પરંતુ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. મેરઠ પોલીસે આ મામલે IPCની કલમ 504, 506 અને SC ST એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. અર્ચનાના પિતાનું કહેવું છે કે તેમની પુત્રી લાંબા સમયથી પ્રિયંકા ગાંધી વાડ્રાને મળવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ સંદીપ સિંહ તેમને મળવા દેતા નથી.
અર્ચનાએ સંદીપ સિંહ પર આ આરોપો લગાવ્યા હતા
થોડા સમય પહેલા ફિલ્મ અભિનેત્રી અને કોંગ્રેસ નેતા અર્ચના ગૌતમ ફેસબુક પર લાઈવ આવી હતી અને ત્યારબાદ તેણે સંદીપ સિંહ પર ઘણા આરોપો લગાવ્યા હતા. અર્ચના ગૌતમે આરોપ લગાવ્યો હતો કે, સંદીપ સિંહે તેની અપશબ્દો કહીને ધમકી આપી હતી કે જો તું વધુ બોલીશ તો હું તને પોલીસ સ્ટેશનમાં મૂકી દઈશ. ત્યારે અર્ચનાના પિતાએ પણ પુત્રીના જીવનું જોખમ હોવાનું જણાવીને સુરક્ષાની માંગણી કરી હતી.
આ પણ વાંચો:Vidya Balanને સાડી છોડી પહેર્યુ છાપું,સોશિયલ મીડિયામાં વાયરલ થયું ફોટોશૂટ જુઓ પોસ્ટ
અર્ચના કોંગ્રેસ નેતા સંદીપ સિંહથી નારાજ હોવાનો દાવો કરે છે
હસ્તિનાપુર સીટ પરથી વિધાનસભા ચૂંટણી હારી ગયેલી અર્ચના ગૌતમે ફેસબુક લાઈવમાં કહ્યું કે કોંગ્રેસના નેતા સંદીપ સિંહથી નારાજ છે. સંદીપની આસપાસ લોકો બેઠા છે. પ્રિયંકા ગાંધી સુધી કશું પહોંચી શકતું નથી, તેમને કોઈ મળી શકતું નથી. તેણે કહ્યું હતું કે મને પ્રિયંકા ગાંધીને મળવામાં લગભગ એક વર્ષનો સમય લાગ્યો હતો. અર્ચના ગૌતમે કહ્યું હતું કે કોંગ્રેસમાં આવા લોકોને કેમ રાખવામાં આવે છે તે ખબર નથી, જેઓ પાર્ટીને કોરી ખાય છે. હું કોંગ્રેસમાં નહીં પરંતુ પ્રિયંકા ગાંધી સાથે જોડાઈ છું.