03 February, 2021 03:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્વામી ઓમ (તસવીર સૌજન્ય - મિડ-ડે)
બિગ-બૉસના ફૅન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. બિગ-બૉસ 10ના એક્સ કન્ટેસ્ટન્ટ સ્વામી ઓમ હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમના મૃત્યુના સમાચાર પછી બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. સ્વામી ઓમ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેમ જ લગભગ ત્રણ મહિના પહેલા તેમને કોરોના થયો હતો. આ જ કારણથી તેમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. જોકે કોરોનાની લડાઈ સામે તેઓ જીતી ગયા હતા, પરંતુ કમજોરીના કારણે તેમને ચાલવામાં મુશ્કેલી આવી રહી હતી. પરંતુ ત્યાર બાદ તેમને લગભગ 15 દિવસ પહેલા જ લકવો થયો હતો. આને કારણે તેમના શરીરે કામ કરવાનું બંધ કરી દીધું હતું અને ધીરે-ધીરે તેમની હાલત કથળવા લાગી હતી.
ઝી ન્યૂઝ સાથેની વાતચીતમાં સ્વામી ઓમના મિત્ર મુકેશ જૈનના પુત્ર અર્જુન જૈને આ વાતની જાણકારી આપતા તેમના મૃત્યુના સમાચાર વિશે જણાવ્યું છે. અર્જુન જૈને જણાવ્યું કે સ્વામી ઓમે પોતાના નિવાસસ્થાન એનસીઆરના લોની સ્થિત ડીએલએફ અંકુર વિહારમાં આજે સવારે અંતિમ શ્વાસ લીધા છે. સમાચાર અનુસાર તેમના અંતિ સંસ્કાર આજે નિગમ બોધ ઘાટ, દિલ્હી ખાતે કરવામાં આવશે.
તમને યાદ અપાવી દઈએ કે સ્વામી ઓમ બિગ-બૉસમાં આવ્યા ત્યારથી તે ઘણા બધા સમાચારોમાં હતા. તેમ જ બિગ-બૉસના ઘરમાં તેમનો લગભગ તમામ સ્પર્ધકો સાથે જોરદાર વિવાદ જોવા મળ્યો હતો. એટલું જ નહીં સ્વામી ઓમના વિવાદો સાથે ઊંડા સંબંધ રહ્યા છે. સુપ્રીમ કોર્ટ 24 ઑગસ્ટ 2017ના રોજ સ્વામી ઓમને ગોપનીયતા જેવા ગંભીર મુદ્દે દસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જણાવી દઈએ કે સ્વામી ઓમ તે સમયે પણ ચર્ચામાં આવ્યા હતા જ્યારે એક ટીવી ચેનલ પર લોકોએ તેમને એક મહિલા સાથે મારપીટ કરતા જોવા મળ્યા હતા. હકીકતમાં આ એક લાઈવ શૉ હતો.