07 September, 2020 09:09 PM IST | Rajkot | Mumbai Correspondent
અય મેરે હમસફરની વિધિ આ લૉકડાઉનમાં શું શીખી?
ટીના ફિલિપ એટલે કે ‘અય મેરે હમસફર’ની વિધિ શર્મા માટે આ લૉકડાઉન બહુ મહત્ત્વનું રહ્યું છે. ટીના કહે છે કે ‘ક્યારેય કોઈએ કલ્પના નહોતી કરી કે આપણે આ રીતે ચાર દીવાલ વચ્ચે પૅક થઈ જઈશું અને બહાર શું છે એ જાણી પણ નહીં શકીએ. લૉકડાઉને મને સમજાવ્યું કે બહુ ભાગવાની જરૂર નથી, તમારા પોતાના માટે સમય કાઢવાની જરૂર છે. પહેલાં એવું બનતું કે આખો દિવસ હું જમી ન હોઉં અને સીધી રાતે જમું, પણ લૉકડાઉનમાં સમજાયું કે આ બધાં કામ જરૂરી અને મહત્ત્વનાં છે.’
લૉકડાઉન પછી ટીનાએ તરત જ કામ શરૂ કરી દીધું છે. ટીના કહે છે, ‘તમે જુઓ, કામના અભાવે આજે કેટલા લોકો મુંબઈ છોડીને પોતાના ગામ જતા રહ્યા હતા. આપણી પાસે કામ છે તો એનો આદર કરવો જોઈએ એ વાત પણ લૉકડાઉનમાં સમજાઈ અને એ પણ સમજાયું કે કામને હંમેશાં માન આપવું જોઈએ. જો કામને માન નહીં આપો કે કામની કદર નહીં કરો તો ખરેખર દુખી થવું પડે એ પણ લૉકડાઉને સમજાવી દીધું.’