07 August, 2026 08:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આકાંક્ષા ચમોલા
ટીવી-અભિનેત્રી આકાંક્ષા ચમોલા પતિ ગૌરવ ખન્નાથી ડિવૉર્સની જાહેરાત બાદ સતત ચર્ચામાં છે. આકાંક્ષાએ આ વાતનો ખુલાસો રિયલિટી શો ‘લૉક અપ’ની બીજી સીઝનમાં કર્યો હતો. શોમાંથી બહાર આવ્યા પછી તેણે પતિ ગૌરવ ખન્ના સાથેના છૂટાછેડાના મુદ્દે પ્રથમ વખત ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી છે. આકાંક્ષાએ સ્પષ્ટ કર્યું છે કે તેણે આ વાત માત્ર લોકપ્રિયતા મેળવવા માટે કહી નહોતી, તે ખરેખર ગૌરવ ખન્નાથી છૂટાછેડા લઈ રહી છે.
શોમાંથી બહાર આવ્યા પછી આકાંક્ષાએ પતિ ગૌરવ સાથેની રિલેશનશિપ વિશે કહ્યું હતું કે ‘જુઓ, હું આટલા મોટા શો પર શા માટે ખોટું બોલું કે હું મારા પતિથી છૂટાછેડા લઈ રહી છું? મેં આ વાત પબ્લિસિટી માટે નથી કરી. તમે મારા ઘરે આવો અને મારી લીગલ ટીમને મળો. હવે હું શોમાંથી બહાર આવી ગઈ છું એટલે ખુલ્લેઆમ આ વિશે વાત કરી રહી છું. હું છૂટાછેડાના દસ્તાવેજો પર સહી કરી ચૂકી છું અને સમગ્ર પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ ખુલાસો કોઈ સસ્તી લોકપ્રિયતા માટે નથી. જ્યારે અમે લગ્ન કર્યાં હતાં ત્યારે પણ ઘણા લોકોને લાગતું હતું કે અમે પબ્લિસિટી માટે લગ્ન કરી રહ્યાં છીએ. અમે ઍક્ટર્સ છીએ એટલે એનો અર્થ એવો નથી કે અમે જે કંઈ કરીએ એ માત્ર પબ્લિસિટી માટે જ કરીએ.’