31 January, 2020 02:05 PM IST | New Delhi
કરણવીર બોહરા
કરણવીર બોહરાને પૂરતા ડૉક્યુમેન્ટ્સ ન હોવાથી નવી દિલ્હી ઍરપોર્ટ પર ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. તેની પાસે આધાર કાર્ડ હતું. જોકે નેપાલ ઍર ટ્રાવેલિંગ દ્વારા જવામાં આવે તો એની માટે પાસપોર્ટ જરૂરી છે. એવામાં કરણવીર પાસે પાસપોર્ટ ન હોવાથી તેને નવી દિલ્હી ઍરપોર્ટ પર અટકાવવામાં આવ્યો હતો. આ આખી ઘટનાક્રમ પર પ્રકાશ નાખતાં ટ્વિટર પર કરણવીરે ટ્વીટ કર્યું હતું કે ‘હું નેપાલ જઈ રહ્યો હતો અને મને નવી દિલ્હી ઍરપોર્ટ પર અટકાવવામાં આવ્યો છે, કેમ કે નેપાલમાં આધાર કાર્ડની પરવાનગી નથી. નેપાલમાં બાય-રોડ જતી વખતે પાસપોર્ટ, વૉટર આઇડી અને આધાર કાર્ડની મંજૂરી છે. બાય-ઍર જતી વખતે પાસપોર્ટ અને વૉટર આઇડી જરૂરી છે. તો પછી ઍર ઇન્ડિયાએ મને આધાર કાર્ડ સાથે મુંબઈથી જવાની પરવાનગી કેમ આપી? શું તેઓ મને ત્યાં નહોતા અટકાવી શકતા?’
કરણવીરના ટ્વીટ બાદ તેને રિપ્લાઈ આપતાં ઍર ઇન્ડિયાએ ટ્વીટ કર્યું હતું કે ‘ડિયર મિસ્ટર બોહરા, નેપાલ જતી વખતે કયા ડૉક્યુમેન્ટ્સ જરૂરી છે એની લિન્ક તમને મોકલાવી છે એના પર એક નજર નાખી લો. ઇમિગ્રેશન વિભાગને કયા ડૉક્યુમેન્ટ્સ અગત્યના છે એ દર્શાવ્યું છે.’
ઍર ઇન્ડિયાને રિપ્લાઈ આપતાં કરણવીરે ટ્વીટ કર્યું હતું કે ‘આ લિન્ક મોકલવા માટે આભાર. જોકે મારું માનવું છે કે આ લિન્ક ન માત્ર પૅસેન્જર્સને, પરંતુ સાથે જ અધિકારીઓ માટે પણ જાણવી જરૂરી છે. તેમણે મને પૂરતા ડૉક્યુમેન્ટ્સ વગર પ્રવાસ કરવાની મંજૂરી કેમ આપી? જો મને મુંબઈમાં જ આ કહેવામાં આવ્યું હોત તો મારા માટે એ સરળ થાત. હું ઝડપથી ડૉક્યુમેન્ટ્સની વ્યવસ્થા કરી શક્યો હોત. મારી વ્યક્તિને મુંબઈથી દિલ્હી સુધી પાસપોર્ટ આપવા માટે ન આવવું પડ્યું હોત.’