27 August, 2022 02:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજીદા શેખ, આમિર અલી
આમિર અલીએ જણાવ્યું છે કે સંજીદા શેખ સાથે ડિવૉર્સ લીધા બાદ તેના પ્રત્યે તેને કોઈ ખરાબ લાગણી મનમાં નથી. ૯ વર્ષના લગ્નજીવનનો આ વર્ષે જાન્યુઆરીમાં ડિવૉર્સ બાદ અંત આવ્યો હતો. તેમની આયરા નામની દીકરી સંજીદા સાથે રહે છે. લગ્નજીવન દરમ્યાન આવેલા મતભેદો અને સમસ્યાને કારણે તેમને જુદાં થવું પડ્યું. ત્યાર બાદથી બન્નેએ કદી પણ જાહેરમાં એકબીજા વિશે ઘસાતું નથી કહ્યું. તાજેતરમાં જ ડિવૉર્સ બાદની આપવીતી જણાવતાં આમિર અલીએ કહ્યું કે ‘એ વખતે ખૂબ અઘરું હતું. લગ્ન તૂટી જતાં હું હચમચી ગયો હતો. જોકે સ્વભાવે હું સ્પોર્ટ્સમૅન હોવાથી મેં કદી પણ હિમ્મત નથી હારી. હું હંમેશાં અંદરથી ખુશમિજાજ છું અને મને ખુશી છે કે હું પાછો આવી ગયો છું. કોઈના પ્રત્યે પણ મારા મનમાં કોઈ પ્રકારની કડવાશ નથી અને મારા એક્સને પણ હું શુભેચ્છા આપું છું. લાઇફમાં બધા જ ખુશ રહે. મહામારી દરમ્યાન મને મારી જાતનું આત્મનિરીક્ષણ કરવાનો સમય મળ્યો હતો. મેં સકારાત્મકતા તરફ જોવાનું શરૂ કર્યું પછી એ કોરોના હોય કે મારા નિષ્ફળ સંબંધ હોય.’