26 February, 2026 12:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરિજિત સિંહ
અરિજિત સિંહે જાન્યુઆરીમાં પ્લેબૅક સિન્ગિંગ છોડવાની જાહેરાત કરી હતી, પરંતુ એના એક મહિનામાં જ તેણે આમિર ખાનના પ્રોડક્શનની ફિલ્મ ‘એક દિન’ માટે ગીત ગાયું. અરિજિતના આ નિર્ણય પછી તેની પ્લેબૅક સિન્ગિંગ છોડવાની જાહેરાત પર શંકા-કુશંકા થવા લાગી હતી. આ સ્થિતિમાં હવે અરિજિતે સોશ્યલ મીડિયા પર પોસ્ટ લખીને પોતાની લાગણી વ્યક્ત કરી.
અરિજિતે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ‘આ મેસેજ ફક્ત મારા શ્રોતાઓ માટે છે. જો તમે મારાં ગીતો નથી સાંભળતા તો કૃપા કરીને આ ન વાંચો અને આગળ વધી જાઓ. આ મારી નમ્ર વિનંતી છે. નમસ્તે સુંદર લોકો. હું બસ આપ સૌને કહેવા માગું છું કે હું તમને પ્રેમ કરું છું. આ કઠોર દુનિયામાં તમારી દયા માટે તમારો ખૂબ ખૂબ આભાર.’
પોતાના સંદેશામાં અરિજિતે આગળ લખ્યું છે કે ‘જોકે મેં નવાં કામ લેવાનું બંધ કરી દીધું છે, પરંતુ મારી પાસે હજી પણ ઘણાં ગીતો બાકી છે જેને પૂરાં કરવાનાં છે. મારે હજી ઘણાં ગીતો પૂરાં કરવાં પડશે. લોકોને સમજાવવામાં ન પડો, તમે કેટલી વાર સમજાવશો? મારાં ઘણાં ગીતો હજી અધૂરાં છે અને એ પૂરાં ન થાય ત્યાં સુધી રિલીઝ થતાં રહેશે, કદાચ આ આખું વર્ષ અને કદાચ આવતા વર્ષ સુધી પણ. શાંત રહો. આ પ્લૅટફૉર્મ પરથી બહાર નીકળવાનો પ્રયાસ કરો. તમારા શરીરમાંથી સ્પાઇક પ્રોટીન દૂર કરો, 5Gથી દૂર રહો, પ્રેમને વાંચો, ધ્યાન કરો. જય દેવી.’