Exclusive: જાણો છો ગુજરાતી ફિલ્મોના ‘સુપરસ્ટાર’ મલ્હાર ઠાકરને શેનો ડર લાગે છે?

05 May, 2021 06:32 PM IST  |  Mumbai | Rachana Joshi

અભિનેતાની ઈચ્છા છે કે, બધા જ તેને ગમાડે અને કોઈ તેને નફરત ન કરે

મલ્હાર ઠાકરની ફાઈલ તસવીર

અર્બન ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી ઘરઘરમાં જાણીતા થયેલા અભિનેતા મલ્હાર ઠાકર (Malhar Thakar)ના નામથી આજે ભાગ્યે જ કોઈ અજાણ હશે. મલ્હાર ઠાકર ગુજરાતી ફિલ્મોના ‘સુપરસ્ટાર’ તરીકે ઓળખાય છે. કરોડોનું ફૅન ફોલોઈંગ ધરાવતા અભિનેતાના જીવન વિશે લગભગ બધા જ બધું જ જાણે છે. પણ છતાય એવી કેટલીક બબાતો છે, જેના વિશે ભાગ્યે જ લોકોને ખબર છે. પરંતુ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે ગયા વર્ષે લૉકડાઉન દરમિયાન થયેલા એક એક્સક્લુઝિવ ઇન્સ્ટા લાઇવમાં મલ્હારે પોતાની પર્સનાલિટીની કેટલીક ખાસ બાબતો છતી કરી હતી. આજે એ યાદોને, એ વાતોને ફરી મમળાવીએ.

મલ્હાર ઠાકર સોશ્યલ મીડિયા પર હંમેશા એક્ટિવ હોય છે. પોસ્ટ, કમેન્ટ્સ અને લાઈવના માધ્યમથી તે સતત ફૅન્સ સાથે કનેક્ટેડ રહે છે. પણ આ જ સોશ્યલ મીડિયાના નેગેટીવ ફૅન ફોલોઈંગનો મલ્હારને ડર પણ લાગે છે. આ ઈન્ટવ્યૂમાં મલ્હાર ઠાકરે કબુલ્યું કે, તેને સોશ્યલ મીડિયા પર આવતી નેગેટિવ કૉમેન્ટ્સ અને ફૅન્સની નેગેટિવ પ્રતિક્રિયાનો ડર લાગે છે.

મલ્હારે કહ્યું હતું કે, ‘ફૅન્સ હંમેશા તમારી પોસ્ટ પર પૉઝિટિવ કે નેગેટીવ કૉમેન્ટ્સ કરતા હોય છે. હું ભલે સકારાત્મક વિચારોમાં વિશ્વાસ કરતી વ્યક્તિ છું, પણ લોકોની નેગેટિવ કૉમેન્ટ્સ મારા પર ખરાબ અસર કરે છે. હું જ્યારે કોઈની ખરાબ કોમેન્ટ વાંચુ કે જોઉ તો મને જરાય ગમતું નથી. ઘણા લોકો મને નેગેટીવ સમજે છે, પણ હું એવો નથી. લોકોની નેગેટીવિટી મને અસર કરે છે, પણ થોડા ઘણા અંશે. કોઈની નેગેટીવ કોમેન્ટ આવે તો હું તરત વિચારું કે મેં ક્યારે કોઈનું શું બગાડ્યું હશે કે લોકો આવું કહે છે. પણ પછી તરત બીજી ક્ષણે એમ થાય કે હશે જવા દે, લોકોનું તો કામ છે નેગેટીવ બોલવાનું. બધા જ લોકો સારું બોલે એવા નહીં મળે. હું હંમેશા ટ્રોલર્સની કમેન્ટ્સનો જવાબ આપું છું. ટ્રોલર્સનો ડર લાગે છે પણ તેમને જવાબ પણ આપું છું કે કદાચ એ લોકોમાંથી નેગેટીવીટી દુર થાય.’

એક ફૅન સાથે થયેલા અતરંગી અનુભવની વાત કરતા મલ્હાર ઠાકરે કહ્યું હતું કે, ‘દુનિયાદારી ફિલ્મના મ્યુઝિક લૉન્ચ સમયે કેટલાક ફૅન્સ પત્રકારોની પાછળ આવીને બેસી ગયા હતા અને પછી વિચિત્ર સવાલો કરવા માંડ્યા. તેમણે મને એવું પુછ્યું કે મુંબઈમાં આટલા લોકો સાથે કામ કર્યું તો પણ કોઈ મળ્યું નહીં? જીવનમાં શું કરવું છે? આવું બધું રિપોર્ટરે પુછ્યું ત્યારે મને બહુ વિચિત્ર લાગ્યું હતું.’

ટ્રોલર્સ સિવાય અભિનેતા મલ્હારને હજી એક બાબત તો ડર સતાવે છે. અભિનેતા કહે છે કે, ‘મને ઘણીવાર એવા વિચારો આવે કે અત્યાર તો મારી પાસે નામને ફૅમ બધું જ છે. પણ ક્યારેક અચાનક રાતોરાત તે જતું રહેશે તો શું થશે? મને તો ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડસ છોડીને જતા રહેશે તેવો પણ ક્યારેક ડર લાગે છે. ક્યારેક આ એક્ટિંગના દિવસો પુરા થઈ જશે તેવી ઈનસિક્યોરીટી પણ થાય છે.’ આ બધા વિચારો ન આવે એટલે જ મલ્હાર હંમેશા પોતાને કામમાં વ્યસ્ત રાખે છે અને ભવિષ્યની યોજના પણ બનાવે છે.

આ પણ જુઓઃ Malhar Thakar: સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો

મિત્રો હોય, પરિવાર હોય કે પછી ફૅન્સ બહુ ઓછા લોકોને ખબર છે કે મલ્હાર ઠાકર સિક્રેટીવ પર્સન છે. અમુક કામો, અમુક વાતો, અમુક વસ્તુ અને અમુક નિર્ણયો મલ્હારના તેના સિવાય કોઈ જ જાણતું નથી હતું. આ જ સિક્રેટીવ સ્વભાવને લીધે અભિનેતા તેની પોતાની ફિલ્મોને પણ સિક્રેટલી જજ કરે છે.

થિયેટરથી કારકિર્દી શરુ કરીને ફિલ્મો અને વૅબ સિરીઝમાં પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેતા મલ્હારનું માનવું છે કે, તેની જે ઈમેજ બનાવી છે તેને જાળવી રાખવા માટે હંમેશા મહેનત કરવી ગમશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, મલ્હાર ઠાકર હવે ફિલ્મ ‘ધુંઆધાર’, ‘વીકીડાનો વરધોડો’, ‘કેસરિયા’, ‘સારાભાઈ’ તે સિવાય સંદીપ પટેલની એક અનટાઈટલ્ડ ફિલ્મમાં જોવા મળશે. આમાંથી ત્રણ ફિલ્મોના શૂટિંગ પતી ગયા છે તો બે ફિલ્મો રિલીઝ થવા માટે તૈયાર પણ છે. તાજેતરમાં જ શેમારુ મી પર અભિનેતાની ફેમિલી એન્ટરટેનર ગુજરાતી વૅબ સિરીઝ ‘વાત વાતમાં’ રિલીઝ થઈ છે. જેને ચાહકોનો ભરપુર પ્રેમ મળી રહ્યો છે.

મલ્હાર ઠાકર અચ્છો કવિ છે અને તેનો પૅટ ડૉગ ગફૂર તેને જીવથી ય વધારે વ્હાલો છે.

entertainment news dhollywood news Malhar Thakar