11 May, 2020 07:58 PM IST | Mumbai Desk | Agencies
રક્તદાન કરતી ઝોઆ મોરાની
ઝોઆ મોરાનીએ પ્લાઝમા થેરપી માટે નાયર હૉસ્પિટલમાં બ્લડ ડોનેટ કર્યું છે. ઝોઆએ થોડા સમય પહેલાં જ કોરોનાને માત આપી છે. એવું માનવામાં આવે છે કે કોરોનાને માત આપનારાઓનું બ્લડ કોરોના પીડિતોની સારવાર માટે ઉપયોગી બની શકે છે. એવામાં ઝોઆ પણ આવા દરદીઓની મદદ માટે આગળ આવી છે. બ્લડ ડોનેટ કરતી વખતનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઝોઆએ કૅપ્શન આપી હતી કે ‘મેં નાયર હૉસ્પિટલમાં પ્લાઝમા થેરપી માટે બ્લડ ડોનેટ કર્યું છે. એ ખૂબ જ ઉત્સાહવાળું રહ્યું હતું. એ દરમ્યાન હાજર ટીમ પણ ઉત્સાહી અને કાળજી લેનારી હતી. સાથે જ ઇમર્જન્સી માટે જનરલ ફિઝિશ્યન પણ હાજર હતા. તમામ સાધનો નવાં અને સલામત હતાં. જે પણ લોકો કોરોનાનો જંગ જીતી ચૂક્યા છે તેમણે પણ આ ટ્રાયલનો ભાગ બનવું જોઈએ જેથી અન્ય દરદીઓની સારવાર થઈ શકે. મારી ભરપૂર કાળજી રાખનારા ડૉક્ટર જયંતી શાસ્ત્રી અને ડૉક્ટર રમેશ વાઘમારે તમારો આભાર. આશા રાખું છું કે આ સારવાર કામમાં આવે. તેમણે મને સર્ટિફિકેટની સાથે જ 500 રૂપિયા પણ આપ્યા હતા. હું આજે ખૂબ જ ખુશ છું.’