બૉક્સ-ઑફિસનાં નંબરથી લોકોની વિશ્વસનીયતા નથી મેળવી શકાતી : અર્જુન કપૂર

30 November, 2019 11:07 AM IST  |  Mumbai

બૉક્સ-ઑફિસનાં નંબરથી લોકોની વિશ્વસનીયતા નથી મેળવી શકાતી : અર્જુન કપૂર

અર્જુન કપૂર

અર્જુન કપૂરનું કહેવું છે કે એક ઍક્ટર તરીકે વિશ્વસનિયતા માત્ર ફિલ્મોનાં બૉક્સ-ઑફિસ નંબર્સ પરથી નથી મેળવી શકાતી. તેનો ઉદ્દેશ છે કે એક કલાકાર તરીકે તે પોતાની ફિલ્મો દ્વારા લોકોમાં વિશ્વસનિયતા પ્રાપ્ત કરે. ઇતિહાસ પર આધારિત તેની આશુતોષ ગોવારિકરની ‘પાનીપત’ ૬ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. અર્જુનની પાછલી ફિલ્મો જેવી કે ‘નમસ્તે ઇંગ્લૅન્ડ’ અને ‘ઇન્ડિયા‍ઝ મોસ્ટ વૉન્ટેડ’ લોકોને થિયેટર્સ સુધી ખેંચી લાવવામાં નિષ્ફળ રહી હતી. એવામાં અર્જુનને આશા છે કે ‘પાનીપત’ લોકોને જરૂર પસંદ પડશે. સાથે જ બૉક્સ-ઑફિસ પર પણ એ કમાલ દેખાડશે. વિશ્વસનિયતા વિશે જણાવતાં અર્જુન કપૂરે કહ્યું હતું કે ‘આજે એક કલાકાર તરીકે મારે વિશ્વસનિયતા મેળવવી છે અને એ કંઈ બૉક્સ-ઑફિસનાં નંબર્સ પરથી નથી મેળવી શકાતી. એ તો લોકો તમારી ફિલ્મ જોવા જાય અને તેમને પસંદ પડે એનાં પરથી મેળવી શકાય છે. આશા રાખું છું કે આ ક્રેડિબલ ફિલ્મ રહેશે અને સાથે જ બૉક્સ-ઑફિસ પર અદ્ભુત બિઝનેસ પણ કરશે. મારી પાછલી ફિલ્મોએ એ લોકોને નિરાશ કર્યા છે. તેઓ પૈસા ખર્ચીને સારું કામ જોવા મળશે એ આશાએ મારી ફિલ્મો જોવા ગયા હતાં. જોકે તેમને કહી દઉં કે મારી આ ફિલ્મ તેમને જરા પણ નિરાશ નહીં કરે. આટલી તો આશા હું રાખી જ શકું છું.’

arjun kapoor entertaintment