કાજોલ સાથે કર્યો યશરાજ ફિલ્મ્સે વિશ્વાસઘાત

22 November, 2012 05:47 AM IST  | 

કાજોલ સાથે કર્યો યશરાજ ફિલ્મ્સે વિશ્વાસઘાત



આ દિવાળીના દિવસે રિલીઝ થવા માટે યશરાજ ફિલ્મ્સની ‘જબ તક હૈ જાન’ અને કાજોલના પતિ અજય દેવગનની ‘સન ઑફ સરદાર’ વચ્ચે ભારે વિવાદ થયો હતો. જોકે આ વિવાદને કારણે યશરાજ ફિલ્મ્સે ‘જબ તક હૈ જાન’ના પ્રીમિયરના મહેમાનોની યાદીમાંથી એની સુપરહિટ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ની હિરોઇન કાજોલને કાઢી નાખીને તેનો વિશ્વાસઘાત કર્યો હતો. યશરાજ ફિલ્મ્સના આવા અભિગમને કારણે કાજોલ પણ બહુ અપસેટ છે.

હકીકતમાં યશરાજ ફિલ્મ્સ અને અજય દેગવન વચ્ચે ઊભા થયેલા આ વિવાદનાં મૂળ બહુ ઊંડાં છે. હકીકતમાં ‘બોલ બચન’ના નિર્માણ વખતે આ ફિલ્મમાં ‘કજરા રે’ ગીતનો નાનકડો હિસ્સો વાપરવા માટે યશરાજ ફિલ્મ્સે પાંચ લાખ રૂપિયા જેટલી મોટી રકમ માગી હતી અને પછી ૯૦ સેકન્ડની આ સીક્વન્સ માટે આ આંકડો વધારીને પચીસ લાખ કરી નાખ્યો હતો. કાજોલને આનાથી બહુ આઘાત લાગ્યો હતો, કારણ કે તેણે યશરાજ ફિલ્મ્સની અનેક ફિલ્મોમાં બિલકુલ ફી લીધા વગર નાનકડા રોલ કર્યા છે. આ વિશે વાત કરતાં કાજોલની નજીકની એક વ્યક્તિ કહે છે કે ‘યશરાજ ફિલ્મ્સ દ્વારા ‘કજરા રે’ના હિસ્સાનો વપરાશ કરવા માટે આટલી મોટી રકમ માગવામાં આવી હોવાના કારણે કાજોલ બહુ અપસેટ થઈ હતી. અજય પણ અપસેટ થયો હતો, પણ તેણે કાજોલને સમજાવી હતી કે આ એક બિઝનેસ છે અને એના કારણે દુ:ખી થવાની કોઈ જ જરૂર નથી.’

જોકે યશરાજ ફિલ્મ્સે પતિ અજયની ‘સન ઑફ સરદાર’ સાથે સ્પર્ધા હોવાના કારણે કાજોલને ‘જબ તક હૈ જાન’ના પ્રીમિયરમાં આમંત્રણ ન આપીને આ ઝઘડાને વધારે આગળ વધાર્યો છે. આ વિશે વાત કરતાં બૉલીવુડની એક વ્યક્તિ કહે છે કે ‘હકીકતમાં કાજોલ પણ ‘જબ તક હૈ જાન’ના પ્રીમિયરમાં હાજરી આપવી કે નહીં એ વિશે દ્વિધા અનુભવતી હતી, પણ યશરાજ ફિલ્મ્સ દ્વારા તેને એમાં હાજર રહેવાનું આમંત્રણ જ ન અપવામાં આવતાં તેને બહુ ખરાબ લાગ્યું છે. આખરે તેણે આ મામલામાં પતિ અજયને ટેકો આપવાનું વલણ અપનાવ્યું છે.’

આ સમગ્ર મામલામાં પોતાનું વલણ સ્પષ્ટ કરતાં અજય કહે છે કે ‘કાજોલ ‘જબ તક હૈ જાન’ના પ્રીમિયરમાં નહોતી ગઈ, કારણ કે તેને આ માટેનું આમંત્રણ નહોતું મળ્યું.’