ડોમેસ્ટિક વાયલન્સ કેસમાં અક્ષયકુમાર મૌન તોડશે

09 December, 2012 06:11 AM IST  | 

ડોમેસ્ટિક વાયલન્સ કેસમાં અક્ષયકુમાર મૌન તોડશે




રાજેશ ખન્નાનું અવસાન થયું છે ત્યારથી તેમની લિવ-ઇન પાર્ટનર અનીતા અડવાણીએ જે વિવાદ ઊભો કર્યો છે એ મામલે અક્ષયકુમાર અને તેનો પરિવાર મોઢામાં મગ ભરીને બેઠો છે. મળતી માહિતી મુજબ અક્ષયકુમાર ૧૭ ડિસેમ્બરે આ મામલાની બૉમ્બે હાઈ ર્કોટની સુનાવણી બાદ તેના પરિવાર વિરુદ્ધ દાખલ કરેલા ડોમેસ્ટિક વાયલન્સના કેસ વિશે જાહેરમાં સ્પષ્ટતા કરવાનું આયોજન કરી રહ્યો છે. પોતાની ફરિયાદમાં અનીતા અડવાણીએ દર મહિને ૧૦ લાખ રૂપિયા મેઇન્ટેનન્સ તેમ જ દિવંગત સુપરસ્ટાર રાજેશ ખન્નાના કાર્ટર રોડ પરના બંગલા આર્શીવાદમાં હકની માગણી કરી છે. અનીતાએ દાવો કર્યો છે કે એ બંગલાના રિનોવેશન પાછળ તેણે ખર્ચ કર્યો છે.

આ વિશે વાત કરતાં રાજેશ ખન્નાના પરિવારની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘હાલના તબક્કે પરિવારના દરેક સભ્યને પ્રેસ સામે કાંઈ પણ ન બોલવાની કડક સૂચના આપવામાં આવી છે. હિયરિંગ પછી આખો પરિવાર પોતાનો પક્ષ રજૂ કરશે.’

આ વિશે વાત કરતાં રાજેશ ખન્નાના ખાસ મિત્ર અને બિઝનેસ-પાર્ટનર પ્રકાશ રોહરાએ કહ્યું હતું કે ‘હું ઘણાં વર્ષોથી કાકાજીનો મિત્ર છું. અનીતાના તમામ દાવા સાવ ખોટા છે. આર્શીવાદ બંગલોનું રિનોવેશન અનીતાએ નહીં પણ મારી કન્સ્ટ્રક્શન કંપનીએ કર્યું છે.’