22 January, 2021 03:52 PM IST | Mumbai | Agencies
મુંબઈ પોલીસે સમન્સ મોકલતાં કંગનાએ કહ્યું,તુમ સબ ભેડિયોં કો નહીં છોડૂંગી
લેખક-ગીતકાર જાવેદ અખ્તરે દાખલ કરેલા માનહાનિના કેસમાં મુંબઈ પોલીસે કંગના રનોટને સમન્સ મોકલાવ્યા છે. એને લઈને પોતાનો બળાપો કાઢતાં કંગનાએ જણાવ્યું છે કે તે કોઈને છોડશે નહીં. આ કેસમાં તપાસનો રિપોર્ટ દાખલ કરવા માટે કોર્ટે મુંબઈ પોલીસને ૧૭ જાન્યુઆરીથી માંડીને ૧ ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે. પોતાને મળેલા સમન્સને લઈને ટ્વિટર પર કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘આજે મને વધુ એક સમન્સ મળ્યો છે. તમામ લક્કડબઘા એકસાથે મળી જાઓ... મને જેલમાં પૂરી દો, ટૉર્ચર કરો અને 500 કેસિસ સાથે મને દીવાલ સાથે અથડાવો... આવો. મર કર ભી મેરી રાખ કહેંગી મૈં તુમ સબ ભેડિયોં કો નહીં છોડૂંગી.’
સુશાંત સિંહ રાજપૂતની બર્થ-ઍનિવર્સરી નિમિત્તે તેને યાદ કરતાં કંગના રનોટે જણાવ્યું હતું કે કાશ તે જાણી શકી હોત કે માફિયાનું ટૉર્ચર તે એકલો સહન કરવા માટે સક્ષમ નહોતો. કંગનાએ ફરીથી બૉલીવુડ પર પ્રહાર કર્યો છે. સુશાંતે ગયા વર્ષે 14 જૂને પોતાના ઘરે સુસાઇડ કરી લીધું હતું. 1986ની 21મી જાન્યુઆરીએ સુશાંતનો જન્મ થયો હતો. સુશાંતનો ફોટો ટ્વિટર પર શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘ડિયર સુશાંત, મૂવી માફિયાએ તને બૅન કર્યો અને તને પરેશાન પણ ખૂબ કર્યો છે. અનેક વખત તેં સોશ્યલ મીડિયામાં મદદ માગી હતી અને મને એ વાતનો પસ્તાવો છે કે હું સોશ્યલ મીડિયા પર નહોતી. કદાચ હું સમજી શકી હોત કે તું આ માફિયા ટૉર્ચરને એકલો સંભાળી શકવામાં સમર્થ નહોતો. હૅપી બર્થ ડે સુશાંત. આ બધાની સાથે સુશાંતના દિવસને જીવનના સેલિબ્રેશન તરીકે સેલિબ્રેટ કરીએ. કોઈને એમ ન કહેવા દેતા કે તમે સારા નથી, પોતાની જાત કરતાં કોઈના પર ભરોસો ન કરો. એ લોકોથી દૂર કરો જે એમ કહેતા હોય કે ડ્રગ્સ દરેક બાબતનો ઉપાય છે અને આર્થિક અને ઇમોશનલી રીતે તમને નિચોવી ન નાખે. સુશાંત ડે સેલિબ્રેટ કરો. મહેશ ભટ્ટ તેની લાઇફમાં આવ્યા અને સુશાંત વિશે કહ્યું કે તેનું પરવીન બાબીની જેમ નિધન થશે, કારણ કે તે ડિપ્રેસ્ડ છે. ભટ્ટસાહેબ જો બધા જ પરવીન બાબીની જેમ મૃત્યુ પામશે તો તમારી દીકરી શાહીનને પણ એ રીતે જ જવું પડશે. તેઓ ડિપ્રેશનના બ્રૅન્ડ ઍમ્બૅસૅડર છે.’