બૉલીવુડની બે હૉટ ઍક્ટ્રેસનાં લગ્નની જોરશોરથી તૈયારી

11 December, 2012 07:46 AM IST  | 

બૉલીવુડની બે હૉટ ઍક્ટ્રેસનાં લગ્નની જોરશોરથી તૈયારી




વિદ્યા-સિદ્ધાર્થ શુક્રવારે મંદિરમાં લગ્ન કરશે


મળતી માહિતી પ્રમાણે ૧૪ ડિસેમ્બરે વિદ્યા તેના બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કરવાની છે. આ લગ્ન પંજાબી અને સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ એમ બન્ને વિધિથી થશે, કારણ કે સિદ્ધાર્થ પંજાબી છે અને વિદ્યા તામિલિયન. વિદ્યાનો પરિવાર શુક્રવારે સવારે ચેમ્બુરના છેડાનગરમાં આવેલા સુબ્રમણ્ય સમાજના મંદિરે પહોંચી જશે અને ત્યાં જ આ વિધિ આટોપવામાં આïવશે. એ સિવાય લગ્નની કેટલીક વિધિ સિદ્ધાર્થના કફ પરેડના નિવાસસ્થાને પણ કરવામાં આવશે.

આ વિશે વાત કરતાં આ દંપતીના કૉમન ફ્રેન્ડ કહે છે, ‘તેઓ જ્યારે પોતાની ઇચ્છા થશે ત્યારે દુનિયા સામે પોતાનાં લગ્નની જાહેરાત કરશે. હાલમાં તેમણે પોતાના પરિવારને અને મિત્રોને આ લગ્ન વિશે જાહેરમાં કોઈ ચર્ચા ન કરવાની સૂચના આપી છે.’

આવતા વર્ષે જાન્યુઆરીમાં રાની-આદિત્યનાં લગ્ન ફાઇનલ?


વિદ્યા બાલનનાં લગ્નને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખબર પડી છે કે આવતા વર્ષે જાન્યુઆરીમાં રાની મુખરજી અને તેના વર્ષોજૂના બૉયફ્રેન્ડ આદિત્ય ચોપડાનાં લગ્ન લગભગ ફાઇનલ છે. હાલમાં રાની જાન્યુઆરીમાં પર્સનલ કમિટમેન્ટનું કારણ આગળ ધરીને ફિલ્મો સાઇન કરવાનું ટાળી રહી છે. હાલમાં તે જે પ્રોજેક્ટ્સમાં કામ કરી રહી છે એના ડિરેક્ટરોને તેણે જાણ કરી દીધી છે કે જાન્યુઆરીમાં એક અગત્યના પ્રસંગમાં હાજરી આપવાની હોવાથી તે આ મહિનામાં શૂટિંગ નહીં કરી શકે. રાનીની આ વર્તણૂકને લીધે તેનાં લગ્નની ચર્ચાને વેગ મળ્યો છે.

આ વિશે વાત કરતાં બૉલીવુડની એક વ્યક્તિ કહે છે, ‘રાનીના કેટલાક નજીકના મિત્રોએ સ્વીકાર્યું છે કે તે આવતા વર્ષની શરૂઆતમાં લગ્ન કરી રહી છે. રાનીના મૅનેજરે પણ કેટલાક ફિલ્મમેકરને આ વાત કહી છે, પરંતુ કદાચ એ ફિલ્મો ન સ્વીકારવા માટેનું બહાનું પણ હોઈ શકે.’

આ ચર્ચા વિશે સ્પષ્ટતા કરતાં રાનીના પ્રવક્તા કહે છે, ‘રાની બહુ કાળજીપૂર્વક તેની ફિલ્મોની પસંદગી કરે છે. તેની પસંદગીના આધારે વાર્તા અને રોલ હોય છે. તે પોતાની કરીઅરના મામલે ગંભીર છે અને હાલમાં તેનાં લગ્નના સમાચારમાં કોઈ સચ્ચાઈ નથી.’