મુન્નાભાઈ MBBS ટીવી-સિરિયલ બનાવવી હતી : રાજકુમાર હીરાણી

16 December, 2015 04:40 AM IST  | 

મુન્નાભાઈ MBBS ટીવી-સિરિયલ બનાવવી હતી : રાજકુમાર હીરાણી

ઢાઈ કિલો કા હાથ : ગઈ કાલે મુંબઈના એક મલ્ટિપ્લેક્સમાં ‘સાલા ખડૂસ’ના ટ્રેલર-લૉન્ચ વખતે આર. માધવન અને રાજકુમાર હીરાણી બૉક્સિંગ રમતા જોવા મળ્યા હતા. તસવીર : શાદાબ ખાન

આર. માધવનની ‘સાલા ખડૂસ’ના ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં હીરાણીએ આ વિશે વધુ જણાવતાં કહ્યું હતું કે ‘ફિલ્મ બને એ પહેલાં ‘મુન્નાભાઈ MBBS’ને ટીવી-સિરિયલના રૂપમાં લખવામાં આવી હતી. હું આ વાર્તા પરથી સિરિયલ બનાવવા માગતો હતો અને એ સમયે માધવન ઘણીબધી સિરિયલ કરી રહ્યો હતો. તે ટીવીનો ઘણો મોટો સ્ટાર હતો અને આ માટે મેં તેને પસંદ કર્યો હતો, પરંતુ તેની પાસે સમય ન હોવાથી તેણે ના પાડી દીધી હતી. જો માધવને આ માટે ના ન પાડી હોત તો આજે ‘મુન્નાભાઈ MBBS’ ફિલ્મ ન બની હોત.’

‘સાલા ખડૂસ’ને રાજકુમાર હીરાણી કો-પ્રોડ્યુસ કરી રહ્યા છે અને એના ટ્રેલર-લૉન્ચ સમયે તેમને ‘મુન્નાભાઈ’ સિરીઝના ત્રીજા ભાગ વિશે પૂછતાં તેમણે કહ્યું હતું કે ‘હા અમે ‘મુન્નાભાઈ’ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છીએ. અમે આ ફિલ્મ માટે ચાર-પાંચ સ્ક્રિપ્ટ લખી છે, પરંતુ એમાંની એક પણ અગાઉના બે ભાગ જેટલી સારી ન હોવાથી અમે એક નવા આઇડિયા પર સ્ક્રિપ્ટ લખી રહ્યા છીએ. જોકે આ સાથે હું સંજય દત્તની બાયોપિક પર પણ કામ કરી રહ્યો છું. આ બાયોપિક પછી અમે અન્ય ત્રણ-ચાર સ્ક્રિપ્ટ પર કામ કરીશું.’

માધવનની ‘સાલા ખડૂસ’ ૨૯ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.