વિદ્યા બાલન લગ્ન પછી સજોડે રહેશે આ ઘરમાં

28 November, 2012 03:45 AM IST  | 

વિદ્યા બાલન લગ્ન પછી સજોડે રહેશે આ ઘરમાં



ડિસેમ્બર મહિનામાં વિદ્યા બાલન અને યુટીવીના સિદ્ધાર્થ રૉય કપૂરનાં લગ્ન થવાનાં છે એ વાત દિવસે ને દિવસે જોર પકડતી જાય છે. ચર્ચાતી વાતો સાચી માનવી પડે એવી બીજી એક ઘટના હાલમાં ઘટી છે. તે એ કે વિદ્યા બાલનનો બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ રૉય કપૂર હાલમાં તેની ભાવિ વાઇફના સ્વાગત માટે જુહુના ઘરને રિનોવેટ કરાવી રહ્યો છે. ગયા વર્ષે સિદ્ધાર્થે વિદ્યાને જુહુ તારા રોડ પર દરિયાને ફેસિંગ બિલ્ડિંગમાં એક ઘર ગિફ્ટ કર્યું હતું. એવું જાણવા મળ્યું છે કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી પ્રોડ્યુસર સિદ્ધાર્થ રૉય કપૂર તેની ઑફિસમાંથી ગાયબ છે અને જુહુના આ ઘરમાં નવું ફર્નિચર અને નવી ગોઠવણો કરતો જોવા મળે છે. આ ફ્લૅટની કિંમત આશરે ૧૪ કરોડની હોવાનો અંદાજ છે.

મળતી માહિતી પ્રમાણે સિદ્ધાર્થ તો ઑલરેડી આ ઘરમાં રહેવા આવી ગયો છે, કેમ કે લગ્ન પછી નવદંપતી આ જ ઘરમાં સંસાર માંડવાનું હોવાની વાતો ચાલે છે. એક તરફ વિદ્યાનાં લગ્નની જોરદાર વાતો ચાલે છે ત્યારે એ બાબતે સિદ્ધાર્થને પૂછતાં આ બધી અફવાઓ છે એમ કહીને વાત હસવામાં કાઢી નાખતાં તે કહે છે, ‘મારાં જ લગ્નમાં મને આમંત્રણ આપવામાં આવ્યું હોય તો સારું એવી હું આશા રાખું છું.’