વિદ્યાએ હિરોઇન બનતાં પહેલાં અનેક રિજેક્શન્સ સહન કરવાં પડ્યાં હતાં

20 February, 2020 04:26 PM IST  |  Mumbai Desk | Ashu Patel

વિદ્યાએ હિરોઇન બનતાં પહેલાં અનેક રિજેક્શન્સ સહન કરવાં પડ્યાં હતાં

વિદ્યા બાલનને હિરોઇન તરીકે સફળતા મળી એ અગાઉ તેણે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. વિદ્યા બાલનના સંઘર્ષની થોડી વધુ વાતો જાણીએ.
વિદ્યાને એક ડઝન મલયાલમ ફિલ્મનિર્માતાઓએ પડતી મૂકી દીધી એ પછી તેણે ૨૦૦૨માં એન. લિંગુસ્વામીની ‘રન’ ફિલ્મ હિરોઇન તરીકે સાઇન કરી. જોકે એ ફિલ્મનું પ્રથમ શૂટિંગ-શિડ્યુલ પૂરું થયા પછી તેને બહુ ખરાબ રીતે એ ફિલ્મમાંથી પડતી મૂકી દેવાઈ અને તેની જગ્યાએ મીરા જસ્મિનને હિરોઇન બનાવી દેવાઈ હતી. એ ફિલ્મ તેને ખોટી માહિતી આપીને સાઇન કરાવવામાં આવી હતી. એ સેક્સ કૉમેડી હતી અને એ જેનર સાથે તે અનકમ્ફર્ટેબલ હતી એટલે તેણે પણ એ પ્રોજેક્ટ છોડી દેવાનું નક્કી કર્યું હતું.
તેણે ૨૦૦૩માં ‘માનાસેલમ’ નામની તામિલ ફિલ્મ સાઇન કરી હતી, પરંતુ એ ફિલ્મના ડિરેક્ટરને લાગ્યું કે આ છોકરીમાં કાંઈ ઍક્ટિંગની આવડત-બાવડત છે નહીં એટલે ડિરેક્ટરે તેને પડતી મૂકીને ત્રિષાને હિરોઇન તરીકે સાઇન કરી. એ પછી તેણે ‘કલારી વિક્રમન’ નામની મલયાલમ ફિલ્મ સાઇન કરી. એ ફિલ્મ ૨૦૦૩માં પૂરી થઈ, પરંતુ એ ફિલ્મ રિલીઝ જ ન થઈ!
૨૦૦૩માં વિદ્યા બાલને ગૌતમ હલદરની બંગાળી ફિલ્મ ‘ભાલો ઠેકો’ કરી. એ ફિલ્મ તેની રિલીઝ થયેલી પ્રથમ ફિલ્મ હતી. એ ફિલ્મમાં તેણે આનંદી નામની યુવતીનું પાત્ર ભજવ્યું હતું. એ ફિલ્મે તેને બેસ્ટ ઍક્ટ્રેસ તરીકેનો આનંદલોક પુરસ્કાર અપાવ્યો હતો.
ત્યાર બાદ પ્રદીપ સરકારે વિદ્યાને ‘પરિણીતા’ ફિલ્મમાં બ્રેક આપ્યો અને ૨૦૦૫માં એ ફિલ્મ રિલીઝ થઈ. જોકે એ ફિલ્મમાં પસંદ થતાં પહેલાં તેણે ૬ મહિના સુધી સતત અને સખત ઓડિશનમાંથી પસાર થવું પડ્યું હતું. એ ફિલ્મ સરાતચંદ્ર ચટ્ટોપાધ્યાયની ‘પરિણીતા’ નવલકથા પરથી બની હતી. એ ફિલ્મમાં એક આદર્શવાદી યુવતીની અને એક મ્યુઝિક-ડિરેક્ટરની લવ-સ્ટોરી હતી. એ ફિલ્મમાં સૈફ અલી ખાને એક મૂડીવાદી શ્રીમંતના દીકરા શેખરનો રોલ કર્યો હતો અને વિદ્યાએ આદર્શવાદી યુવતી લલિતાનો રોલ કર્યો હતો. વિદ્યાના એ રોલની વિવેચકોએ ખૂબ જ  પ્રશંસા કરી હતી. ‘પરિણીતા’ ફિલ્મે તેને બેસ્ટ ફીમેલ ડેબ્યુનો અવૉર્ડ અપાવ્યો અને તેને બેસ્ટ ઍક્ટ્રેસ તરીકે ફિલ્મફેર અવૉર્ડમાં નૉમિનેશન પણ મળ્યું અને એ ફિલ્મથી તેની કરીઅર ટેક-ઑફ થઈ ગઈ.

vidya balan ashu patel bollywood entertaintment bollywood gossips