25 October, 2023 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદિત્ય ધર
‘ઉરીલ: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ બનાવ્યા બાદ હવે એના ડિરેક્ટર આદિત્ય ધર આતંકવાદ પર ફિલ્મ બનાવશે. ૨૦૧૯માં રિલીઝ થયેલી ‘ઉરી’એ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી હતી. સાથે જ આ ફિલ્મને ચાર નૅશનલ અવૉર્ડ મળ્યા હતા. હવે એવું જાણવા મળ્યું છે કે આદિત્ય ઍક્શન-થ્રિલર બનાવવાનો છે. આ ફિલ્મ પાકિસ્તાનના આતંકવાદની સત્યઘટના પર પ્રકાશ પાડશે. એને માટે આદિત્યએ ઘણું રિસર્ચ કર્યું છે. એવું કહેવાય છે કે પાકિસ્તાનમાં આતંકવાદીઓનો ખાતમો બોલાવવામાં ભારતીય ગુપ્તચર એજન્સીઓનો ટેકો હતો. જે પ્રકારે એ ઑપરેશન પાર પાડવામાં આવ્યું હતું એનાથી આદિત્ય ઘણો પ્રભાવિત થયો હતો. એથી એ બાબતને મોટા પડદા પર સાકાર કરવા આદિત્ય એક્સાઇટેડ છે. તેઓ આ વખતે એવું કાંઈક બનાવશે જે આજ સુધી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કદી દેખાડવામાં આવ્યું ન હોય. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે.
આવતા વર્ષે કમબૅક કરશે ઇમરાન ખાન
ઇમરાન ખાન આવતા વર્ષે કમબૅક કરવા તૈયાર થયો છે. ઘણા વખતથી તેને કમબૅક વિશે પૂછવામાં આવતું હતું. એવુંય જાણવા મળ્યું છે કે તે કદાચ ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાનો છે. અગાઉ તેણે ‘જાને તૂ યા જાને ના’, ‘કટ્ટી બટ્ટી’, ‘આઇ હૅટ લવ સ્ટોરી’, ‘બ્રેક કે બાદ’ અને ‘દિલ્હી બેલી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. સોશ્યલ મીડિયામાં તે હિન્ટ આપે છે કે તે કમબૅક કરવાનો છે અને આવી રીતે તે તેના ફૅન્સને કન્ફ્યુઝ કરે છે. કમબૅક વિશે પૂછવામાં આવતાં ઇમરાન ખાને કહ્યું કે ‘એને માટે મારી પાસે ચોક્કસ જવાબ નથી. હું સ્ક્રિપ્ટ્સ વાંચી રહ્યો છું અને ફિલ્મમેકર્સ સાથે ચર્ચા પણ કરી રહ્યો છું. આશા છે કે આવતા વર્ષે કામ શરૂ કરું.’
ટૉમ ક્રૂઝની ‘મિશન ઇમ્પૉસિબલ’ થઈ પોસ્ટપોન્ડ
ટૉમ ક્રૂઝની ‘મિશન ઇમ્પૉસિબલ’ પોસ્ટપોન્ડ થતાં હવે એ ૨૦૨૫માં રિલીઝ થવાની છે. એવું કહેવાય છે કે ફિલ્મનું ટાઇટલ પણ કદાચ બદલવામાં આવશે અને એની જાહેરાત બાદમાં કરવામાં આવશે. જુલાઈમાં હૉલીવુડ ઍક્ટર્સની સ્ટ્રાઇકને કારણે કૅમેરા બંધ હતા અને તેઓ શૂટિંગ કરી શક્યા નહોતા. ફિલ્મનું પ્રોડક્શનનું કામ આ વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું. અગાઉ આ ફિલ્મને ૨૦૨૪ના માર્ચમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ હતું, પરંતુ હવે એને કદાચ ૨૦૨૫માં રિલીઝ કરવામાં આવશે. ‘મિશન ઇમ્પૉસિબલ ઃ ડેડ રેકનિંગ’ના ડિરેક્ટર ક્રિસ્ટોફર મૅકક્વેરીએ અન્ડર-વૉટર મનમોહક સીન આ ફિલ્મમાં દેખાડવાનું પ્રૉમિસ તેના ફૅન્સને આપ્યું હતું.
‘આશિકી 3’માં તારા સુતરિયા છે એ એક અફવા: અનુરાગ બાસુ
ફિલ્મમેકર અનુરાગ બાસુએ ચોખવટ કરી છે કે ‘આશિકી 3’માં તારા સુતરિયા નથી દેખાવાની. તાજેતરમાં કાર્તિક આર્યન સાથે તારા એક રેસ્ટોરાંમાંથી બહાર આવતી જોવા મળી હતી એને લઈને એવી ચર્ચા ચાલુ થઈ કે તારા કદાચ ‘આશિકી 3’માં સાથે કામ કરવાનાં છે. આ ફિલ્મમાં કાર્તિક લીડ રોલમાં દેખાવાનો છે. તેની સાથે ફીમેલ લીડ તરીકે તારા દેખાશે એવી અફવા ઊડી હતી. હવે એ અફવા પર પૂર્ણવિરામ મૂકતાં અનુરાગ બાસુએ કહ્યું કે ‘ના, ફિલ્મની ફીમેલ લીડ હજી સુધી ફાઇનલ નથી થઈ. માત્ર એને લઈને અફવા ફેલાઈ રહી છે.’