શાહિદ ને બિપાશાની સ્ટોરીમાં નવો ટ્વિસ્ટ

23 November, 2011 09:20 AM IST  | 

શાહિદ ને બિપાશાની સ્ટોરીમાં નવો ટ્વિસ્ટ



શાહિદ કપૂર અને બિપાશા બાસુનો સંબંધ કેટલો સમય રહ્યો અને કયા કારણસર તેઓ છૂટાં થઈ ગયાં એ બાબતે અત્યાર સુધીમાં ઘણી ઓછી હકીકતો બહાર આવી છે. જોકે ખબરો અનુસાર શાહિદનું પ્રિયંકા સાથે જ્યારે બ્રેક-અપ થયું ત્યાર પછી પણ તે પ્રિયંકાથી દૂર નહોતો રહી શકતો અને ફરીથી તેની સાથે થવાની કોશિશ કરી રહ્યો હતો. એમાં સફળતા ન મળતાં તે ઘણો દુ:ખી થયો હતો. જોકે આ સમયે જ તેની ક્લોઝનેસ બિપાશા સાથે વધી હતી, પણ થોડા સમયમાં જ તેઓ પણ છૂટાં થઈ ગયાં છે એ ખબરો આવ્યા હતા. જોકે હવે આ લવસ્ટોરીમાં એક નવો ટ્વિસ્ટ આવ્યો છે અને શાહિદે બિપાશા પાસેથી સિરિયસ રિલેશનશિપમાં કમિટમેન્ટ માટે સમય માગ્યો છે.

ખબરો અનુસાર બિપાશા અને શાહિદની મિત્રતા ઘણા ઓછા સમયમાં ખૂબ જ સારી થઈ ગઈ હતી અને એ કારણે જ તેમને લાગતું હતું કે તેઓ ઘણી આસાનીથી એ સંબંધમાં આગળ વધી શકશે. જોકે શાહિદ હજી સુધી પ્રિયંકાને પોતાના વિચારોથી દૂર નહોતો કરી શક્યો, કારણ કે પ્રિયંકા અને તેનો સંબંધ ભલે ઘણી વખત ખરાબ સંજોગોમાંથી પસાર થયો હોય, પણ તેમનો પ્રેમ ઘણો સ્ટ્રૉન્ગ ગણવામાં આવી રહ્યો હતો. પ્રિયંકા સાથેના બ્રેક-અપ પછી બિપાશા સાથેની ક્લોઝનેસ વધી ત્યારે તે પૂરેપૂરો રિકવર નહોતો થઈ શક્યો અને એ કારણે જ તે બિપાશા સાથેના સંબંધો જાહેરમાં સ્વીકારે એ પરિસ્થિતિમાં પણ નહોતો.

જોકે બિપાશા અને રાણા દગુબટ્ટી ઘણા સમયથી સાથે જોવા મળી રહ્યાં છે અને એવું કહેવામાં આવે છે કે તેમની વચ્ચે મિત્રતાના જ સંબંધ નથી, પણ બિપાશાની નજીકની વ્યક્તિના કહેવા પ્રમાણે બિપાશા તેના મિત્રોમાં એમ કહેતી જોવા મળે છે કે રાણા તેનો એક અંગત મિત્ર છે અને શાહિદને હજી થોડા સમયની જરૂર છે.