17 May, 2020 04:09 PM IST | Mumbai Desk | Agencies
સોનુ સૂદ
સોનુ સૂદનું કહેવું છે કે ઍર-કન્ડિશનમાં બેસીને પ્રવાસી કામદારોની વાસ્તવિક સ્થિતિ વિશે આપણે તાગ ન મેળવી શકીએ. એને માટે તો પોતે રસ્તા પર ઊતરવું પડે. દેશમાં કોરોનાનો કેર વધતાં લૉકડાઉન લાગુ થવાથી અન્ય રાજ્યોમાંથી રોજગારી માટે આવેલા કામદારોની સ્થિતિ કફોડી બની છે. એવામાં સોનુ સૂદ એ તમામ લોકોને જમવાનું પૂરું પાડી રહ્યો છે. સાથે જ હાલમાં મહારાષ્ટ્ર સરકાર પાસેથી મંજૂરી લઈને તેણે કેટલાક મજૂરોને તેમના ગામ પહોંચાડ્યા હતા. એ અગાઉ તેણે જુહુમાં આવેલી પોતાની હોટલને હેલ્થ કૅર વર્કર્સ માટે બીએમસીને આપી છે. કામદારોની સ્થિતિ વિશે સોનુ સૂદે કહ્યું કે ‘પ્રવાસી મજૂરોને મદદ કરવી એ મારી ફરજ છે. તેઓ આપણા દેશની ધડકન છે. અમે જોયું કે માઇગ્રન્ટ્સ પોતાની ફૅમિલી અને બાળકો સાથે રસ્તા પર ચાલીને પોતાના ગામ જઈ રહ્યા છે. આપણે માત્ર એસીમાં બેસીને અને ટ્વીટ કરીને ચિંતા વ્યક્ત કરીએ એટલું પૂરતું નથી. તેમના જેવી સ્થિતિનો અનુભવ લેવા માટે તો જાતે રસ્તા પર ઊતરવુ પડે. નહીં તો તેમને પણ વિશ્વાસ નહીં બેસે કે હા કોઈ તો છે જેમને તેમની ચિંતા છે. એથી તેમના ટ્રાવેલની વ્યવસ્થા કરી રહ્યો છું અને અલગ-અલગ રાજ્યો પાસેથી પરવાનગી લઈ રહ્યો છું.’