29 October, 2025 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સતીશ શાહ
પચીસમી ઑક્ટોબરે સતીશ શાહના અણધાર્યા નિધનના સમાચાર આવતાં મિત્રો, સ્વજનો અને ફૅન્સને ભારે આંચકો લાગ્યો હતો. એ સમયે પ્રારંભિક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમનું મૃત્યુ કિડની ફેલ થવાથી થયું છે, પરંતુ હવે તેમના નજીકના મિત્ર અને ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’માં તેમના દીકરાનું પાત્ર ભજવનારા અભિનેતા રાજેશ કુમારે ખુલાસો કર્યો છે કે સતીશ શાહનું મૃત્યુ કિડની-ફેલ્યરને લીધે નહીં, અચાનક આવેલા હાર્ટ-અટૅકથી થયું હતું.
રાજેશ કુમારે આ મામલે ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘સતીશ શાહની કિડની-ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સંપૂર્ણપણે સફળ રહી હતી અને તેમનું સ્વાસ્થ્ય પહેલાં કરતાં વધુ સારું થઈ રહ્યું હતું. સતીશજીની તબિયત ત્યારે કન્ટ્રોલમાં હતી. કિડની સાથે જોડાયેલી સમસ્યા પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. તેમની હાલત સ્થિર હતી, પરંતુ અચાનક આવેલા હૃદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું હતું. અટૅક સમયે તેઓ બપોરે પોતાના ઘરે જમી રહ્યા હતા અને અચાનક છાતીમાં દુખાવો ઊપડ્યો અને તેઓ હૃદયરોગના હુમલાનો ભોગ બન્યા હતા.’