20 November, 2020 02:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ ફોટો
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના એજન્ટ ઉદય સિંહ ગૌરીએ ત્રણ તપાસ એજન્સીને જાણકારી આપી છે કે એક્ટર 26/11 ના રોજ મુંબઈમાં થયેલા ટેરેરિસ્ટ અટેક પર બનનારી એક ફિલ્મમાં કામ કરવાનો હતો.
ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, સુશાંત કોર્નરસ્ટોન LLP નામની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે જોડાયેલો હતો અને તેની સાથે જોડાયેલા ઉદય સિંહ ગૌરીએ મુંબઈ પોલીસ, CBI અને ED સામે ખુલાસો કર્યો કે સુશાંતની ISI અને કસાબને લઈને બનનારી ફિલ્મ માટે ચર્ચા ચાલી રહી હતી. 13 જૂને ગૌરીએ ફિલ્મમેકર નિખિલ અડવાણી, પ્રોડ્યુસર રમેશ તોરાની અને સુશાંતનો એક કોન્ફરન્સ કોલ કરાવ્યો હતો જેમાં તેમણે અંદાજે 7 મિનિટ સુધી ફિલ્મને લઈને ચર્ચા કરી હતી.
કોલ દરમ્યાન નિખિલે ફિલ્મનો આઈડિયા સુશાંતને શેર કર્યો હતો જેને સાંભળ્યા બાદ સુશાંત પણ તેને સવાલ- જવાબ કરી રહ્યા હતા.
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગૌરીની 13 જૂને અંદાજે 5-6 વખત સુશાંત સાથે વાત થઇ હતી. ફિલ્મને લઈને નેક્સ્ટ ડિસ્કશન 15 જૂને થવાનું હતું પણ 14 જૂને સુશાંત તેના એપાર્ટમેન્ટમાં મૃત મળ્યો હતો. ગૌરી પહેલાં નિખિલ અડવાણી અને રમેશ તોરાનીએ પણ આ વાતનો ખુલાસો કરી દીધો છે કે 13 જૂને તેમની સુશાંત સાથે ફોન પર વાત થઇ હતી.
સુશાંતનો મૃતદેહ 14 જૂન, 2020ના રોજ તેના બાંદ્રા સ્થિત ફ્લેટમાં મળ્યો હતો. પોલીસે આત્મહત્યાની શંકા જતાવી હતી. ઘટનાસ્થળ પર કોઈ સુસાઇડ નોટ મળી ન હતી. પોલીસને સુશાંતના રૂમમાંથી એક ફાઈલ મળી, જેનાથી ખબર પડી કે તે 6 મહિનાથી ડિપ્રેશનની સારવાર લઇ રહ્યો હતો.