28 June, 2026 04:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દોહિત્રી ઇવારા
સુનીલ શેટ્ટી દોહિત્રી ઇવારાને બહુ પ્રેમ કરે છે અને તાજેતરમાં સુનીલે ઇવારા વિશે વાત કરતાં કહ્યું હતું કે તેની ૧૫ મહિનાની દોહિત્રી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મોટી ફૅન છે, તે રોજ નરેન્દ્ર મોદીની તસવીર જુએ છે અને તેમને ગણેશ મંદિરમાં ચડાવેલા લાડુ ધરે છે.
વડા પ્રધાન વિશેની પોતાની લાગણી વિશે વાત કરતાં સુનીલે કહ્યું હતું કે ‘મેં હંમેશાં કહ્યું છે કે હું નરેન્દ્ર મોદીનો ખૂબ મોટો પ્રશંસક છું. હું કોઈ રાજકીય પક્ષની વાત નથી કરતો, હું એ નેતાની વાત કરું છું જે મારામાં જોશ ભરે છે. મને જેટલો મારા દેશ પ્રત્યે પ્રેમ છે એટલો જ તે વ્યક્તિ પ્રત્યે પ્રેમ છે. તેમનામાં કંઈક તો વાત છે. તમે નહીં માનો પણ મારી ૧૫ મહિનાની દોહિત્રી ઇવારા પણ નરેન્દ્ર મોદીની મોટી ફૅન છે. એક વખત તેની નૅનીએ ઍરપોર્ટ પર તેને નરેન્દ્ર મોદીની તસવીર બતાવી હતી. તે દરરોજ સવારે આવે છે, તેની પાસે એક સાંઈબાબાની બુક છે, જેમાં મોદીજીનો મોટો ફોટો છે. તે આ બુક ખોલે છે અને મોદીજી-મોદીજી બોલે છે. તે રોજ ગણપતિની મૂર્તિ પાસે જાય છે, ત્યાંથી લાડુ લઈને આવે છે અને તેમને ધરે છે. તેને આવું કરવાનું કોઈએ શીખવ્યું નથી અને નૅનીએ તો ફક્ત ફોટો બતાવ્યો હતો તેમ છતાં તે મોદીજી બોલે છે. કંઈક તો ખાસ વાત હશે. મારી અને વડા પ્રધાનની પહેલી મુલાકાત ૨૦૧૦માં થઈ હતી. વડા પ્રધાનમાં કંઈક તો જાદુઈ છે. મારા પર તેમનો જાદુ ત્યારે શરૂ થયો જ્યારે હું પહેલી વાર તેમને અમદાવાદમાં મળ્યો હતો.’