કરણી સેના પદ્માવત બાદ વિરોધ કરી રહી છે અક્ષયની પૃથ્વીરાજનો

18 March, 2020 04:11 PM IST  |  Jaipur | Agencies

કરણી સેના પદ્માવત બાદ વિરોધ કરી રહી છે અક્ષયની પૃથ્વીરાજનો

અક્ષયકુમાર

કરણી સેનાએ ‘પૃથ્વીરાજ’માં ઇતિહાસ સાથે કોઈ પણ પ્રકારે ચેડાં ન કરવામાં આવે એવી સલાહ ફિલ્મના પ્રોડ્યુસરને આપી છે. આ અગાઉ કરણી સેનાએ ‘પદ્‍માવત’નો પણ વિરોધ કર્યો હતો. એને લઈને દેશભરમાં ખૂબ દેખાવ અને વિરોધ કરવામાં આવ્યો હતો. યશરાજ ફિલ્મ્સની ‘પૃથ્વીરાજ’માં અક્ષયકુમાર અને માનુષી છિલ્લર જોવા મળવાનાં છે. આ ફિલ્મને ચન્દ્ર પ્રકાશ ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ હાલમાં જયપુરના જામવા રામગઢ ગામમાં કરવામાં આવ્યું હતું. એ દરમ્યાન કરણી સેનાએ સેટ પર જઈને પોતાની વાત માંડી હતી. જોકે અક્ષયકુમાર ત્યાં હાજર નહોતો. ડિરેક્ટર સાથે ચર્ચા કર્યા બાદ કરણી સેનાના પ્રેસિડન્ટ મહિપાલ સિંહ મકરાણાએ કહ્યું હતું કે ‘અમે ડિરેક્ટર ચન્દ્ર પ્રકાશ સાથે ફિલ્મની સ્ક્રિપ્ટને લઈને ચર્ચા કરી હતી. અમે તેમને કહ્યું છે કે ઇતિહાસ સાથે ચેડાં કરવામાં આવશે તો એને સાંખી લેવામાં નહીં આવે. પૃથ્વીરાજ ચૌહાણને ફિલ્મમાં એક પ્રેમી તરીકે ન દેખાડવામાં આવે. ડિરેક્ટરે અમને એ વાતની ખાતરી આપી છે કે ફિલ્મમાં આવી કોઈ વસ્તુને દેખાડવામાં નહીં આવે. જોકે અમને આ સંદર્ભે લેખિતમાં ખાતરી જોઈએ છે.’

akshay kumar bollywood news entertainment news