તમે આયેશા બેગમ બનીને જ વાત કરી રહ્યાં છો

05 September, 2026 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વંદે માતરમને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે શર્મિલા ટાગોરના નિવેદન પર મુકેશ ખન્નાએ આપ્યો આકરો પ્રતિભાવ

મુકેશ ખન્ના અને શર્મિલા ટાગોર

શર્મિલા ટાગોરે હાલમાં કહ્યું હતું કે ‘વંદે માતરમ’ના શરૂઆતના બે અંતરા જ ગાવા જોઈએ, કારણ કે ત્યાર પછીના ભાગોમાં ધાર્મિક સંદર્ભ જોવા મળે છે. હવે તેમની આ વાત પર મુકેશ ખન્નાએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે શર્મિલા ટાગોર પોતાની સમજ મુજબ વાત કરી રહ્યાં છે.
શર્મિલા ટાગોરના નિવેદન વિશે વાત કરતાં મુકેશ ખન્નાએ કહ્યું હતું કે ‘તેઓ પોતાની સમજ પ્રમાણે બોલી રહ્યાં છે. મને ખબર નથી કે તેમણે આવું કેમ કહ્યું. કદાચ પોતાની વાત સમજાવતી વખતે તેમણે એવું કહ્યું હશે કે અન્ય ધર્મના લોકો એને સમજી નહીં શકે અથવા સ્વીકારી નહીં શકે. શું તમને લગ્ન પછી અહેસાસ થયો કે ઇસ્લામ પણ એક ધર્મ છે? જ્યારે તમે બેગમ બન્યાં ત્યારે શું તમને અહેસાસ થયો હતો કે મુસ્લિમો અલગ ધર્મને માને છે? તમે લગ્ન માટે આયેશા બેગમ બન્યાં પણ આજે તમે આયેશા બેગમ બનીને જ વાત કરી રહ્યાં છો. મને સમજાતું નથી કે આખું જીવન હિન્દુની જેમ જીવ્યા બાદ અચાનક તમે કઈ રીતે બીજા ધર્મની ચિંતા કરવા લાગ્યાં. તમે બંગાળમાં ઊછર્યાં છો, જ્યાં કાલી પૂજા ધામધૂમથી મનાવવામાં આવે છે. તમે બંગાળી સંસ્કૃતિ અને બંગાળી ફિલ્મો સાથે ઊછર્યાં છો. તમારું બાળપણ ત્યાં પસાર થયું છે તો આખરે હવે તમને એવું કેમ લાગે છે કે કોઈ અન્ય ધર્મના લોકો એને સ્વીકારી નહીં શકે? તેમનો વાંધો આજથી શરૂ થયો નથી. તર્ક એવો રહ્યો છે કે તેઓ માત્ર ખુદા સામે ઝૂકે છે અને તેથી અન્ય કોઈની સામે ઝૂકશે નહીં. અમે ભારત માતાની સામે ઝૂકીએ છીએ. જો કોઈ ઝૂકવા માગતું ન હોય તો ઠીક છે, અમે તેને ઝૂકવા માટે મજબૂર નથી કરતા. જોકે ‘વંદે માતરમ્’ ગાવું જ ન જોઈએ એવી દલીલ મારી સમજની બહાર છે.’

sharmila tagore mukesh khanna vande mataram bollywood buzz bollywood controversies bollywood news bollywood gossips bollywood entertainment news