વૉઇસ ઓવર માટે એક પૈસો નથી લીધો શાહરુખ ખાને : કબીર ખાન

13 January, 2020 11:20 AM IST  |  Mumbai Desk

વૉઇસ ઓવર માટે એક પૈસો નથી લીધો શાહરુખ ખાને : કબીર ખાન

કબીર ખાનની વેબ-સિરીઝ ‘ધ ફર્ગોટન આર્મી : આઝાદી કે લિએ’માં શાહરુખ ખાને આપેલા વૉઇસ ઓવર માટે તેણે કોઈ ફી નથી લીધી. આ વેબ-સિરીઝ ૨૪ જાન્યુઆરીથી ઍમેઝૉન પ્રાઇમ પર શરૂ થવાની છે. આ શો સત્યઘટના પર આધારિત છે. આ વેબ-સિરીઝ દ્વારા કબીર ખાન ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાનો છે. શાહરુખ સાથે ઇન્ડિયન નૅશનલ આર્મી પર ફિલ્મ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરતાં કબીર ખાને કહ્યું હતું કે ‘શાહરુખે ખૂબ જ સરસ રીતે વૉઇસ ઓવર આપ્યો છે. આ સિરીઝ સત્યઘટના પર આધારિત છે. એથી દરેક એપિસોડની શરૂઆતમાં એક ઇન્ટ્રો છે અને એમાં રિયલ ફુટેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એના માટે શાહરુખે અવાજ આપ્યો હતો. આ વિશે મેં શાહરુખ સાથે પહેલાં પણ ચર્ચા કરી હતી. ત્યારે અમે એના પર ફિલ્મ બનાવવાના હતા. હું ચાહતો હતો કે શાહરુખ આ ફિલ્મમાં કામ કરે. અમારી વચ્ચે કેટલીક મીટિંગ પણ થઈ હતી. જોકે વાત આગળ વધી શકી નહીં. હું જ્યારે આ સિરીઝ બનાવી રહ્યો હતો ત્યારે મેં વિચાર્યું કે હું શાહરુખને પૂછું કે શું તે નરેશન આપશે, કારણ કે શાહરુખના પિતા આર્મી સાથે જોડાયેલા હતા. તેના પિતા જનરલ શાહનવાઝ ખાનને ઓળખતા હતા. તેઓ ઇન્ડિયન નૅશનલ આર્મીનો અગત્યનો ભાગ હતા. એથી હું જાણતો હતો કે શાહરુખને આઝાદ હિન્દ ફોજ સાથે સહાનુભૂતિ અને લાગણી હશે. મેં તેને કૉલ કર્યો હતો. સુપરસ્ટારને વૉઇસ ઓવર માટે વિચારવા એ કંઈ સરળ બાબત નથી, પરંતુ શાહરુખે તરત હા પાડી દીધી હતી. તમે જ્યારે શાહરુખ સાથે કોઈ ફિલ્મ વિશે ચર્ચા કરો તો એ લાંબી પ્રોસેસ હોય છે. જોકે આ સિરીઝ માટે તો શાહરુખે બીજા દિવસે જ વૉઇસ ઓવર કર્યો હતો. હું એ નથી જાણતો કે શાહરુખને ગમશે કે નહીં, પરંતુ હું કહેવા માગું છું કે તે‌ણે વૉઇસ ઓવર માટે અમારી પાસેથી કોઈ ફી નહોતી લીધી. મારું માનવું છે કે આઝાદ હિન્દ ફોજ સાથેની લાગણી તેના કામમાં દેખાઈ આવશે.’

bollywood bollywood news kabir khan Shah Rukh Khan bollywood gossips