19 July, 2026 10:05 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
શબાના આઝમી જંતર મંતર પહોંચ્યા
બૉલિવૂડની પીઢ અભિનેત્રી શબાના આઝમી રવિવારે 19 જુલાઈના રોજ દિલ્હીના જંતર-મંતરની મુલાકાત લીધી હતી. NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓ સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને સમર્થન આપવા માટે તેઓ અહીં પહોંચ્યા હતા. અભિનેત્રીએ મુલાકાત દરમિયાન, તેઓ કૉકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દિપકેને મળ્યા, જે હાલમાં ભૂખ હડતાળ પર છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં શબાના આઝમી વિરોધ સ્થળ પર અભિજીત દિપકે સાથે હાથ મિલાવતા અને અન્ય પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા. તેમની મુલાકાતથી વિરોધ ફરી ચર્ચામાં આવ્યો છે.
શબાના આઝમીએ અગાઉ સોનમ વાંગચુકને સમર્થન આપ્યું હતું. CJPના નેતૃત્વ હેઠળના આંદોલનના સમર્થનમાં વાંગચુક 28 જૂનથી અનિશ્ચિત ભૂખ હડતાળ પર હતા. ગયા મંગળવારે, શબાના આઝમીએ ઇન્સ્ટાગ્રામ પર સોનમ વાંગચુકનો ફોટો શૅર કર્યો અને લખ્યું, "પ્રિય સોનમ વાંગચુક, આપણા દેશને તમારા જેવા વ્યક્તિની ખૂબ જરૂર છે. તમે અન્યાય સામે અને સત્યના પક્ષમાં ઉભા છો. અમને બધાને તમારા પર ગર્વ છે." તેમણે આગળ અપીલ કરી, "તેથી જ અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે તમારી ભૂખ હડતાળ સમાપ્ત કરો, કારણ કે તમારા માર્ગદર્શનથી અમારા વિદ્યાર્થીઓને પ્રેરણા મળે છે. `આ લડાઈ લાંબા સમય સુધી લડવી પડશે.` તે માટે, તમે સ્વસ્થ રહો તે જરૂરી છે. અમે બધા તમારી સાથે છીએ."
18 જુલાઈના રોજ સોનમ વાંગચુકની ભૂખ હડતાળના 21 માં દિવસે તેમની તબિયત બગડ્યા બાદ દિલ્હી પોલીસે તેમને સફદરજંગ હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડૉક્ટરોના મતે, લાંબા ઉપવાસ દરમિયાન તેમણે આશરે 10 કિલોગ્રામ જેટલું વજન ઘટાડ્યું છે, અને તેમની સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. બાદમાં, દિલ્હી હાઈ કોર્ટે પણ કેન્દ્ર સરકારના નિર્ણયને સમર્થન આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે વાંગચુકને હૉસ્પિટલમાં લઈ જવાનું પગલું મનસ્વી કે ગેરકાયદેસર નહોતું; તેના બદલે, તે સરકારના અધિકારક્ષેત્રમાં લેવામાં આવેલ પગલું હતું.
આ દરમિયાન, CJPના સ્થાપક અભિજીત દિપકે પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. તેણે આરોપ લગાવ્યો છે કે સોનમ વાંગચુકને વિરોધ સ્થળ પરથી બળજબરીથી દૂર કરવામાં આવી હતી. તેને ‘મોટી ભૂલ’ ગણાવતા તેણે દાવો કર્યો હતો કે પોલીસે "સોનમ વાંગચુકનું અપહરણ કર્યું છે." NEET પરીક્ષામાં કથિત અનિયમિતતાઓ સામે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આયોજિત જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જેથી હવે શબાના આઝમી જંતર મંતર પહોંચતા તેણે ફરીથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે.