સંજય દત બનશે નવી ‘ઝંજીર’નો શેરખાન

25 October, 2012 06:16 AM IST  | 

સંજય દત બનશે નવી ‘ઝંજીર’નો શેરખાન



ડિરેક્ટર અપૂર્વ લાખિયા હાલમાં અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ ‘ઝંજીર’ની રીમેક પર કામ કરી રહ્યો છે. પ્રકાશ મહેરાએ ડિરેક્ટ કરેલી આ મૂળ ફિલ્મમાં હીરોની સાથે-સાથે તેના ખાસ મિત્રનું પ્રાણે ભજવેલું શેરખાનનું કૅરેક્ટર બહુ લોકપ્રિય બન્યું હતું. હવે ખબર પડી છે કે રીમેકમાં શેરખાનનો રોલ કરવા માટે સંજય દત્તે તૈયારી બતાવી છે. નોંધનીય છે કે પહેલાં એક વખત સંજયે આ રોલ કરવાની ના પાડી દેતાં તેના બદલે અજુર્ન રામપાલને સાઇન કરવામાં આવ્યો હતો. ચર્ચા તો એમ પણ હતી કે આ રોલ માટે સોનુ સૂદના નામની વિચારણા કરવામાં આવી હતી. જોકે ખબર પડી છે કે હવે સોનુ સૂદ આ ફિલ્મના તામિલ વર્ઝનમાં જ જોવા મળશે.

પોતાની આ ફિલ્મ વિશે વાત કરતાં અપૂર્વ લાખિયા કહે છે કે ‘સંજુસરે શેરખાનનો રોલ કરવાની તૈયારી બતાવી છે એનાથી હું બહુ ખુશ છું. આ ફિલ્મ હિન્દી અને તામિલ એમ બે ભાષામાં બની રહી છે. હિન્દી ફિલ્મમાં શેરખાનનો રોલ સંજય દત્ત અને તામિલમાં સોનુ સૂદ કરશે, કારણ કે સોનુ સાઉથમાં બહુ મોટી બ્રૅન્ડ છે. રામચરણ તેજા આ બન્ને આવૃત્તિઓમાં અમિતાભે કરેલો રોલ કરશે. પહેલાં સંજુસરને તારીખોની સમસ્યા હતી એટલે તેમણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. જોકે પછી આ ઍડ્જસ્ટમેન્ટ થઈ શક્યું હતું અને હવે અમે આવતા મહિનાથી શૂટિંગ શરૂ કરી દેવાના છીએ.’

સંજય અને તેના ભૂતપૂર્વ મૅનેજર વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની વાત સાવ ખોટી

તાજેતરમાં એવા અહેવાલ આવ્યા છે કે સંજય દત્ત અને તેના ભૂતપૂર્વ મૅનેજર ધરમ ઑબેરૉય વચ્ચે સમાધાન થઈ ગયું છે. અહેવાલમાં આપેલી માહિતી પ્રમાણે સંજયે હાલમાં કંગના અને સંજય ગુપ્તા સાથે સમાધાન કર્યા બાદ હવે ધરમ ઑબેરૉય સાથે મિત્રતા બાંધવાનો પ્રયાસ કર્યો છે. આ અહેવાલ વિશે સ્પષ્ટતા કરતાં સંજય કહે છે કે ‘મારો ધરમ ઑબેરૉય સાથે કોઈ સંબંધ નથી અને મારો તેમની સાથે કોઈ સંપર્ક નથી. મારી તેમની સાથેની મિત્રતાના અહેવાલ સાવ ખોટા છે અને અમારી વચ્ચે કોઈ જ પ્રકારનું કમ્યુનિકેશન નથી થયું.’