29 April, 2026 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખલનાયક રિટર્ન્સમાં સંજય દત્તનો લીડ રોલ અને સુભાષ ઘઈનો કૅમિયો
હાલમાં સુભાષ ઘઈની ૧૯૯૩ની સુપરહિટ ‘ખલનાયક’ની સીક્વલ ‘ખલનાયક રિટર્ન્સ’ની જાહેરાત થઈ હતી. હવે સુભાષ ઘઈએ સ્પષ્ટ કર્યું કે તે આ સીક્વલ સાથે જોડાયેલા રહેશે પણ એનું ડિરેક્શન કરવાની કોઈ યોજના નથી. સંજય દત્તે ‘ખલનાયક રિટર્ન્સ’ની જાહેરાત કરતાં કહ્યું હતું કે તે આ ફિલ્મનું નિર્માણ કરશે પણ એના ડિરેક્ટરનું નામ હજી નક્કી નથી. ‘ખલનાયક રિટર્ન્સ’માં સંજય દત્ત લીડ રોલમાં છે પણ બાકીની કાસ્ટ અંગે હજુ સસ્પેન્સ છે. એવી ચર્ચા હતી કે તમન્ના ભાટિયા આ ફિલ્મમાં પ્રસિદ્ધ ગીત ‘ચોલી કે પીછે’ને ફરીથી પર્ફોર્મ કરશે પરંતુ સુભાષ ઘઈએ આ ચર્ચાને નકારી કાઢી છે અને કહ્યું છે કે પોતે આ ફિલ્મમાં કૅમિયો ચોક્કસ કરશે. ‘ખલનાયક રિટર્ન્સ’ વિશે વાત કરતાં સુભાષ ઘઈએ કહ્યું હતું કે ‘સંજુ ઘણાં વર્ષોથી આ સીક્વલ બનાવવા માટે ખૂબ ઉત્સાહી હતો. તે જેલમાં હતો ત્યારે પણ તેણે મને લખ્યું હતું કે અંકલ, હું આ ફિલ્મ બનાવવા ઇચ્છું છું. આ પછી મેં તેને આ ફિલ્મનો કૉન્સેપ્ટ અને સ્ટોરી મોકલી. કદાચ મારી જેમ આ ફિલ્મ કોઈ નહીં બનાવી શકે પણ હું મારી પોતાની ફિલ્મ ફરીથી બનાવવા નથી ઇચ્છતો. ઉપરાંત હવે હું ૮૦ વર્ષનો છું. મેં જ સંજુને કહ્યું કે જો તું એટલો ઉત્સુક છે તો તું જ આ ફિલ્મનું નિર્માણ કર અને હું તારો ક્રીએટિવ પ્રોડ્યુસર બનીશ. મને વિશ્વાસ છે કે તે આ ફિલ્મ માટે યોગ્ય ડિરેક્ટર શોધી લેશે અને ટૂંક સમયમાં જાહેરાત કરશે.’