સંજય દત્તે જેલમાં ૧૮ કિલો વજન ઘટાડ્યું અને ૧૦ સ્ક્રિપ્ટ લખી

25 December, 2014 03:26 AM IST  | 

સંજય દત્તે જેલમાં ૧૮ કિલો વજન ઘટાડ્યું અને ૧૦ સ્ક્રિપ્ટ લખી



યેરવડા સેન્ટ્રલ જેલમાંથી બે અઠવાડિયાંની ફર્લોની રજા પર છૂટેલો ઍક્ટર સંજય દત્ત ગઈ કાલે તેના બાંદરાના ઘરે પહોંચ્યો ત્યારે પત્રકારોને સંબોધતાં અને કટાક્ષ કરતાં તેણે કહ્યું હતું કે ‘મારું વજન ૧૮ કિલો ઘટી ગયું છે. જો હજી વજન ઘટશે તો કદાચ હું અદૃશ્ય થઈ જઈશ. આજે પણ મારી ફિટનેસમાં એઇટ-પૅક ઍબ્સ છે.’ આવું કહીને તેણે શર્ટ કાઢીને અને બનિયાન ઉપર કરીને પોતાના ઍબ્સ દેખાડ્યા હતા.

સંજય દત્ત પાંચ વર્ષની કેદની સજામાંથી ૧૮ મહિનાની સજા ભોગવી ચૂક્યો છે. અગાઉ ૨૦૧૩માં ઑક્ટોબરમાં ૨૮ દિવસ અને ડિસેમ્બરમાં ૨૮ દિવસ ફર્લોની રજા તેણે ભોગવી હતી. એ વખતે તેણે પત્ની માન્યતાની બીમારીને લીધે ફર્લો મેળવી હોવાનું જણાવાયું હતું. પત્ની માન્યતાની બીમારીને લીધે તે ફરી જાન્યુઆરીમાં પરોલ પર છૂટ્યો હતો. ઉપરાઉપરી ફર્લો અને પરોલ પર છૂટવાને લીધે ત્યારે ખાસ્સો વિવાદ-વિરોધ જાગ્યા હતા. તેણે જ્યારે-જ્યારે પરોલ કે ફર્લોની રજા લીધી છે ત્યારે-ત્યારે પ્રશ્નો ઊભા થયા છે. 

આ વિવાદ વિશે સંજય દત્તે જણાવ્યું હતું કે ‘મને કોઈ સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી. મેં પાંચ મહિના પહેલાં ફર્લો માટે અરજી કરી હતી અને હવે એ અરજીને મંજૂરી મળી. તમારા સહકાર બદલ ખૂબ-ખૂબ આભાર.’

ફિલ્મમેકર ફ્રેન્ડ રાજકુમાર હીરાણી તેના જીવન વિશે ફિલ્મ બનાવી રહ્યા હોવાની બાબતે સંજયે જણાવ્યું હતું કે ‘એ ફિલ્મનું સ્ટેટસ શું છે એ હું જાણતો નથી. રાજકુમાર હીરાણી સાથે વાત કરીને જાણીશ. જોકે જેલમાં બેઠાં-બેઠાં મેં ૧૦ સ્ક્રિપ્ટ લખી છે અને એ બાબતે હું ટૂંક સમયમાં ચર્ચાવિચારણા અને બીજું કામ કરવાનું શરૂ કરીશ.’

આજે સંજય દત્ત માટે ‘pk’નો સ્પેશ્યલ શો

૧૪ દિવસની ફર્લો પર ગઈ કાલે પુણેની યેરવડા જેલમાંથી નીકળીને મુંબઈ પહોંચેલા સંજય દત્ત માટે આજે ફિલ્મ ‘pk’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સંજય દત્તનો નાનકડો રોલ છે. આજે સાંતાક્રુઝના એક પ્રીવ્યુ થિયેટરમાં યોજાનારા આ સ્ક્રીનિંગમાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટ હાજર રહેશે.