03 March, 2020 01:26 PM IST | Mumbai Desk
રણવીર સિંહ, અજય દેવગન, રોહિત શેટ્ટી, અક્ષય કુમાર
દિલ્હીની તનાવપૂર્ણ સ્થિતિને જોતાં રોહિત શેટ્ટીએ લોકોને શાંત રહેવાની અને અફવા ન ફેલાવવાની સલાહ આપી છે. રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’નું ટ્રેલર ગઈ કાલે લૉન્ચ કરવામાં આવ્યું હતું. ટ્રેલર-લૉન્ચ વખતે અક્ષયકુમાર, અજય દેવગન અને રણવીર સિંહ પણ હાજર હતા. દિલ્હીના વાતવરણને જોતાં રોહિત શેટ્ટીએ કહ્યું હતું કે ‘દિલ્હીમાં કે પછી દેશમાં જે કંઈ પણ ઘટી રહ્યું છે એ ગંભીર મુદ્દો છે. અનેક લોકો એના વિશે ચર્ચા કરી રહ્યા છે. મને લાગે છે કે હાલની સ્થિતિને જોતાં તો સૌએ શાંત રહેવું જોઈએ. આપણા અધિકારીઓ, સરકાર અને લોકો દિલ્હીમાં સ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણે મુંબઈમાં ટ્રેલર-લૉન્ચ વખતે સારી રીતે સમય પસાર કરી રહ્યા છીએ અને દિલ્હીની સ્થિતિ વિશે અહીં રહીને ચર્ચા કરવી એ આપણા માટે સરળ બાબત છે. એવામાં સૌથી સારી વાત એ છે કે આવી સ્થિતિમાં સૌએ શાંત રહેવું અને મૌન પાળવું જોઈએ. બધા લોકો એ વિશે ચર્ચા કરશે અને સ્થિતિને વધુ તનાવપૂર્ણ બનાવશે. લોકોએ શાંત રહેવું જોઈએ. વાસ્તવિકતા શું છે એની આપણને ગતાગમ નથી.
હિંસક સ્થિતિમાં રહેવાનો અનુભવ આપણે નથી જાણતા. એ ખૂબ જ ભયાનક અને નુકસાનકારક છે. આવી બાબતની ચર્ચા વધુ ન કરવી જોઈએ. સમય સાથે સ્થિતિ સુધરી જશે. હું લેક્ચર આપવા બેસીશ તો સોશ્યલ મીડિયામાં લોકો મારી વાહવાહી કરશે. જોકે હાલમાં તો સૌએ થોડા દિવસો માટે શાંત રહેવું જોઈએ. સ્થિતિ સુધરી ન જાય ત્યાં સુધી સૌએ એ વિશે કોઈ ચર્ચા ન કરવી જોઈએ.’