02 May, 2020 10:14 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
આ તસવીરમાં તેમણે ઋષિ કપૂરને પોતાના ખોળામાં ઉઠાવ્યો છે.
ગઈ કાલે ઇરફાન ખાનને ખોઇ દેવાનું દુઃખ હજી તો બોલીવુડે માંડ સહન કર્યું હતું તો સવારે જ વધુ એક ઝટકો લાગ્યો. બી-ટાઉનને ઋષિ કપૂરના નિધનના સમાચારથી જબરજસ્ત આંચકો લાગ્યો છે. બોલીવુડના કલાકાર ઋષિ કપૂર સાથે જોડાયેલી પોતાની સ્મૃતિઓ સોશિયલ મીડિયા પર શૅર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ભારતરત્ન સન્માનિત લતા મંગેશકરે પણ ઋષિ કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કરતા ટ્વિટર પર તેમની એક દુર્લભ તસવીર શૅર કરી છે.
આ તસવીરમાં તેમણે ઋષિ કપૂરને પોતાના ખોળામાં ઉઠાવ્યો છે.
આ તસવીર કેટલાક સમય પહેલા ઋષિ કપૂરે જ તેમને મોકલી હતી. દુઃખ વ્યક્ત કરતા લતા મંગેશકરે કહ્યું કે ઋષિ કપૂરનું નિધન ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ મોટી ક્ષતિ છે અને આ એક મુશ્કેલ સમય છે.
ઋષિ કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં લતા મંગેશકરે આગળ લખ્યું છે કે, "ક્યા કહું? ક્યા લિખું કુછ સમજમેં નહીં આ રહા હૈ. ઋષિજી કે નિધન સે મુજે બહુત દુઃખ હો રહા હૈ. ઉનકે જાને સે ફિલ્મ ઇન્ડસ્ટ્રી કી બહુત હાનિ હુઇ હૈ. યે દુઃખ સહેના મેરે લિયે બહુત મુશ્કેલ હો રહા હૈ. ભગવાન ઉનકી આત્મા કો શાંતિ દે."
કેન્સર સામે બે વર્ષથી ચાલતી આવતી લડાઇ બાદ ઋષિ કપૂરનું આજે નિધન થઈ ગયું. તેમના પરિવારે એક નિવેદન આપ્યું કે, "અમારા પ્રિય ઋષિ કપૂરની લ્યૂકેમિયા સામેની બે વર્ષની લડાઇ બાદ આજે સવારે 8.45 વાગ્યે હૉસ્પિટલમાં નિધન થઈ ગયું. હૉસ્પિટલના ડૉક્ટર્સ અને અન્ય સ્ટાફ મેમ્બર્સે કહ્યું કે તેમણે અંતિમ ક્ષણ સુધી તેમનું મનોરંજન કર્યું."
આમાં આગળ લખ્યું છે કે, "આ બીમારીની સારવાર દરમિયાન તેમને મળનારી દરેક વ્યક્તિ ચકિત હતી કે કેવી રીતે તેમણે પોતાની બીમારીને પોતાના પર હાવી થવા ન દીધી. તેઓ પોતાના ચાહકોના આભારી હતા જે વિશ્વભરમાંથી તેમને પ્રેમ મોકલતા રહ્યા. તેમના નિધન બાદ તે સમજી જશે કે તેમને હંમેશાં ખુશીથી યાદ કરવા જોઇએ, ન કે આંસુઓની સાથે."