રિયા ચક્રવર્તીની સુશાંત કેસમાં CBI માગ અંગે અનિલ દેશમુખનું નિવેદન

17 July, 2020 11:31 AM IST  |  Mumbai Desk | Faizan Khan

રિયા ચક્રવર્તીની સુશાંત કેસમાં CBI માગ અંગે અનિલ દેશમુખનું નિવેદન

રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂત સાથે(ફાઇલ ફોટો)

સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput)ના નિધનને એક મહિનો થઈ ગયો છે અને બોલીવુડ(Bollywood)માં નેપૉટિઝ્મ, ફેવરિટીઝ્મ અંગે ઘણાં વિવાદો થયા બાદ અનેક લોકોએ સુશાંત સિંહ રાજપૂતના નિધન અંગે CBI તપાસની માગ પણ કરી છે જેમાં હવે રિયા ચક્રવર્તી(Rhea Chakraborty)એ પણ ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah)ના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ટેગ કરતાં જણાવ્યું છે કે તે પોતે રિયા ચક્રવર્તી, સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ છે અને સુશાંતના એકાએક લીધેલા આવા પગલાંને એક મહિનો થઈ ગયો છે. ત્યારે રિયા ચક્રવર્તીએ પણ સીબીઆઈ તપાસની માગ કરી છે.

બીજી બાજુ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે ‘મિડ-ડે’ને કહ્યું છે કે ‘કેસની તપાસ સીબીઆઇને સોંપવાની જરૂર જણાતી નથી. મુંબઈ પોલીસ કેસ ઉકેલવા સક્ષમ છે. મુંબઈ પોલીસ દરેક ઍન્ગલથી કેસની તપાસ કરી રહી છે જેમાં પ્રોફેશનલ રાઇવલરીના ઍન્ગલનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીની તપાસમાં અમને કંઈ અજુગતું જણાયું નથી. કેસની તપાસ પૂરી થશે ત્યારે અમે એ વિશેની વધુ વિગતો આપીશું.’

રિયા ચક્રવર્તીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે સુશાંતના નિધનને એક મહિનો થઈ ગયો છે. તેમ છતાં તેને ભારત સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે કે સુશાંતને ન્યાય મળશે. તેમ છતાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આ સંદર્ભે CBI તપાસ કરાવો. મારે ફક્ત એટલું સમજવું છે કે એવું કયું દબાણ હતું જેને કારણે સુશાંતે આવું પગલું લીધું. તમારી આભારી
રિયા ચક્રવર્તી

રિયા ચક્રવર્તીએ આ પોસ્ટ શૅર કરવાની સાથે સાથે ભારતના ગૃહ મંત્રી અમિત શાહને પોતાની ઓળખ આપતાં લખ્યું છે કે તે સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ છે.

રિયા ચક્રવર્તીને મળી રહી છે બળાત્કાર અને હત્યાની ધમકીઓ

સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને સુશાંતના નિધનના જવાબદાર ઠેરવતાં કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ તેને પર્સનલી મેસેજમાં ધમકીઓ આપીને હેરાન પણ કરી રહ્યા છે. આ અંગે પણ રિયા ચક્રવર્તીએ એક પોસ્ટ શૅર કરી છે જેમાં તેણે માન્નુ રાઉત નામની સોશિયલ મીડિયા યૂઝરના મેસેજનો સ્ક્રીનશૉટ શૅર કરીને લખ્યું છે કે મને તમે અનેક અપશબ્દો કહ્યાં તેમ છતાં હું ચૂપ રહી.

રિયા ચક્રવર્તીએ પોસ્ટમાં લખ્યું છે કે અનેક અપશબ્દો છતાં હું ચૂપ રહી. પણ તેનો અર્થ એ નથી કે, મારું મૌન તમને એ અધિકાર આપે છે કે તમે મારું બળાત્કાર કરશો કે મારી હત્યા કરી દેશો જો હું આપઘાત નહીં કરું તો... આવી ધમકીઓ તમે મને આપી શકો.

તમને અંદાજો પણ છે કે તમે શું કહ્યું છે મન્નુ રાઉત? આ ગુનો છે અને આ પ્રકારનો ત્રાસ કોઇને પણ એટલે કોઇને પણ આપવો એ ખૂબ જ મોટો ગુનો છે. હું સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન અને સાઇબર ક્રાઇમ ઇન્ડિયાને પ્રાર્થના કરું છું કે કૃપા કરીને આ અંગે જરૂરી પગલાં લે.

રિયા ચક્રવર્તીએ ગૃહ મંત્રી અમિત શાહ અને સાઇબર ક્રાઇમને એક જ દિવસમાં બે જુદાં જુદાં મામલે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી છે.

rhea chakraborty sushant singh rajput amit shah bollywood crime branch bollywood news bollywood gossips