રણવીર સિંહ કેમ રડ્યો?

07 October, 2015 03:50 AM IST  | 

રણવીર સિંહ કેમ રડ્યો?



રણવીર સિંહ તેના માર્ગદર્શક આદિત્ય ચોપડાની આગામી ફિલ્મમાં લીડ રોલ ભજવી રહ્યો છે. આદિત્ય ચોપડા સાત વર્ષ બાદ ‘બેફિકરે : ધોઝ હુ ડેર ટુ લવ’ને ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મ તે તેના સુપરસ્ટાર ફ્રેન્ડ શાહરુખ ખાન વગર બનાવી રહ્યો છે. શાહરુખ અને આદિત્યએ અગાઉ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’, ‘મોહબ્બતેં’ અને ‘રબ ને બના દી જોડી’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મને આદિત્ય તેની સૌથી યંગેસ્ટ અને રિસ્કીએસ્ટ ફિલ્મ ગણાવે છે, જેને માટે તેણે રણવીરને પસંદ કર્યો છે.

રણવીર આ ન્યુઝ સાંભળીને એકદમ ઇમોશનલ થઈ ગયો હતો અને તેણે એક વિડિયો શૂટ કરીને યુટ્યુબ પર અપલોડ કરીને આ સમાચાર તેના ફૅન્સને આપ્યા હતા. આ વિડિયોમાં તેણે કહ્યું હતું કે ‘આ ખૂબ જ સ્પેશ્યલ વિડિયો છે. યશરાજ ફિલ્મ્સના ચોથા માળ પર હું ઊભો છું. આ એ જગ્યા છે જ્યાં યશજી બેસતા હતા અને હવે આદિત્ય બેસે છે અને આ એ જ જગ્યા છે જ્યાંથી મેં મારી કરીઅર શરૂ કરી હતી. હું જ્યારે ‘બૅન્ડ બાજા બારાત’ માટે ઑડિશન આપવા આવ્યો હતો ત્યારે આદિત્ય સરે મને કહ્યું હતું કે આ ફિલ્મ માટે તને પસંદ કરવામાં આવ્યો છે અને હું તેમની ઑફિસની બહાર કૉરિડોરમાં આવીને રડી પડ્યો હતો અને આદિત્ય સરે આવીને મને કહ્યું હતું કે તૂ કર લેગા. પાંચ વર્ષ બાદ જ્યારે ફરી હું આ જ ઑફિસમાં આવ્યો ત્યારે આદિત્ય સરે મને કહ્યું કે ‘બેફિકરે’ માટે તને પસંદ કરવામાં આવ્યો છે. મારું સપનું હતું કે હું મારા માર્ગદર્શકની ફિલ્મમાં કામ કરું અને આજે જ્યારે આ સપનું પૂરું થયું ત્યારે હું ફરી એ જ જગ્યાએ આવીને રડી પડ્યો હતો અને ફરી આદિત્ય સરે એ જ રીતે આવીને મારા ખભા પર હાથ મૂક્યો હતો અને મને કહ્યું હતું કે તૂ કર લેગા. આ ફિલ્મ મારા માટે ખૂબ જ સ્પેશ્યલ છે.’