19 September, 2026 01:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખુલ્લા પગલે લાલબાગચા રાજાનાં દર્શન કરવા પહોંચ્યો રણવીર સિંહ
રણવીર સિંહે ગુરુવારે લાલબાગચા રાજાનાં દર્શન કરી ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા હતા. રણવીર પરંપરાગત સફેદ કુર્તા-પાયજામામાં અને ખુલ્લા પગે ગણેશ પંડાલમાં પહોંચ્યો હતો અને બાપ્પાના દર્શન કરીને થોડો સમય શ્રદ્ધાપૂર્વક પ્રાર્થનામાં વિતાવ્યો હતો. આ દર્શન કરતી વખતે રણવીર અત્યંત ઇમોશનલ થઈ ગયો હતો. દર્શન દરમ્યાન રણવીર પ્રાર્થનામાં લીન થઈ ગયો હતો અને તેના ચહેરા પર ભાવુકતા સ્પષ્ટ દેખાતી હતી. રણવીરની પ્રાર્થનાની આ ક્ષણો ફોટોગ્રાફર્સના કૅમેરામાં ક્લિક થઈ ગઈ હતી. દર્શન પૂર્ણ થયા બાદ રણવીર પોતાના ફૅન્સને મળ્યો હતો અને વિદાય લેતાં પહેલાં તેણે ચાહકોને ફ્લાઇંગ કિસ પણ આપી હતી.
રણવીર સિંહ ગુરુવારે રાત્રે લાલબાગચા રાજાનાં દર્શન કરવા પહોંચ્યો હતો. અહીં તેણે ગણપતિ બાપ્પાની પૂજા-અર્ચના કરી હતી અને પોતાના આગામી પ્રોજેક્ટ્સ માટે આશીર્વાદ લીધા હતા. બાપ્પાના દર્શન કરતાં પહેલાં રણવીરે મંદિર પરિસરમાં હાજર પોતાના ફૅન્સનું અભિવાદન કર્યું હતું અને તેમની સાથે વાતચીત કરી હતી તેમ જ તસવીરો ક્લિક કરાવી હતી.
ગણપતિ બાપ્પાનાં દર્શન કરતી વખતે રણવીરે એક મોટો સંકલ્પ પણ લીધો હતો. પોતાના આ સંકલ્પ વિશે વાત કરતાં રણવીરે કહ્યું હતું કે ‘અહીં દર્શન કરીને ખૂબ સારું લાગ્યું. છેલ્લું વર્ષ મારા અને મારા પરિવાર માટે બાપ્પાની કૃપાથી ખુશીઓથી ભરેલું રહ્યું. હું અહીં આવ્યો, તેમનાં દર્શન કર્યાં અને તેમનો આભાર માન્યો. મેં આગળની સફર માટે તેમના આશીર્વાદ લીધા. ગણેશ ચતુર્થીના આ શુભ અવસરે અને આપણા આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના અવસરે હું સેવા સંકલ્પ અભિયાન સાથે જોડાઈને ૧૦૦૦ દીકરીઓના શિક્ષણમાં મદદ કરવાનો સંકલ્પ લઉં છું. આશા છે કે આના કારણે બાપ્પા પ્રસન્ન થશે અને તેમના આશીર્વાદ હંમેશાં જળવાઈ રહેશે.’