20 June, 2026 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધુરંધર ફ્રૅન્ચાઇઝીમાંથી રણવીર સિંહને ૩૨૫ કરોડ રૂપિયાથી વધુની કમાણી?
૧૯ માર્ચે રિલીઝ થયેલી ‘ધુરંધર: ધ રિવેન્જ’ની આવકનો આખરી હિસાબ હજુ પણ તૈયાર થઈ રહ્યો છે ત્યારે રિપોર્ટ મુજબ ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધર અને અભિનેતા રણવીર સિંહ બન્નેને ફિલ્મમાંથી ૨૫ ટકા-૨૫ ટકા હિસ્સો મળવાનો છે જ્યારે જિયો સ્ટુડિયોઝ પાસે ૫૦ ટકા હિસ્સેદારી છે. મળતી માહિતી પ્રમાણે ‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝીમાંથી આદિત્ય ધર અને રણવીર સિંહને અત્યાર સુધીમાં ૩૨૫ કરોડ રૂપિયાથી વધુની રકમ મળી ચૂકી છે. જોકે આમાં સૌથી મોટો લાભ જિયો સ્ટુડિયોઝને જ થયો છે કારણ કે એની પાસે સૌથી મોટો હિસ્સો છે. જોકે આ આંકડાઓ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
છેલ્લા કેટલાક સમયથી રણવીર સિંહ છેલ્લી ઘડીએ ‘ડૉન 3’ છોડવાને મામલે વિવાદમાં ફસાયો હતો. જોકે રણવીર આ વિવાદ મામલે અત્યાર સુધી જાહેરમાં એક શબ્દ પણ બોલ્યો નથી. સોશ્યલ મીડિયા અને અન્ય પ્લૅટફૉર્મ્સ પર આ મામલે જે કંઈ પણ ચર્ચાઓ થઈ રહી છે એ મોટા ભાગે અટકળો પર આધારિત હોવાનું કહેવાઈ રહ્યું છે.
હવે ખબર પડી છે કે આ વિવાદને પગલે રણવીરે આગામી દોઢ વર્ષ સુધી કોઈ ઇન્ટરવ્યુ ન આપવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ પ્રમાણે આગામી ફિલ્મ ‘પ્રલય’ની રિલીઝના સમય સુધી રણવીર મીડિયા સાથે વાતચીત કરતો જોવા નહીં મળે.
મળતી માહિતી પ્રમાણે રણવીરે પોતાના કાનૂની સલાહકારો કે પબ્લિક રિલેશન ટીમને પણ ‘ડૉન 3’ વિશે કોઈ નિવેદન આપવા મંજૂરી આપી નથી. હાલમાં એક ટ્રેડ-જર્નલિસ્ટે દાવો કર્યો છે કે તેની રણવીર સાથે વ્યક્તિગત મુલાકાત થઈ હતી ત્યારે રણવીરે સ્પષ્ટ કહ્યું હતું કે તે ‘ડૉન 3’ વિવાદ પર કોઈ કમેન્ટ નહીં કરે અને ઓછામાં ઓછા આગામી ૧૮ મહિના સુધી કોઈ ઇન્ટરવ્યુ પણ નહીં આપે.