રણવીર સિંહે નાગપુરમાં RSSના હેડક્વૉર્ટરની લીધી અણધારી મુલાકાત

12 April, 2026 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરસંઘચાલક મોહન ભાગવતને મળ્યો અને સ્થાપક ડૉ. કેશવ બળીરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

રણવીર સિંહે નાગપુરમાં RSSના હેડક્વૉર્ટરની લીધી અણધારી મુલાકાત

રણવીર સિંહે શુક્રવારે નાગપુરની મુલાકાત લીધી હતી અને આ મુલાકાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપક  ડૉ. કેશવ બળીરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેણે RSSના વડા મોહન ભાગવત સાથે પણ મુલાકાત કરી હતી. નાગપુર મુલાકાત દરમ્યાન રણવીરે રેશિમબાગ સ્થિત હેડગેવાર સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી અને  ડૉ. કેશવ બળીરામ હેડગેવાર ઉપરાંત તેમના ઉત્તરાધિકારી તથા દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવરાવ ગોળવલકરને પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી. બન્ને નેતાઓનાં સ્મારક એક જ પરિસરમાં આવેલાં છે. રણવીર શુક્રવારે નાગપુરના ઍરપોર્ટ પર ઊતરીને ત્યાંથી સીધો મહાલ વિસ્તારમાં આવેલા RSS હેડક્વૉર્ટર ગયો હતો અને અહીં તેણે મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. આ મુખ્યાલયમાં અંદાજે દોઢ કલાક સુધી રહ્યા બાદ તે સ્મારક સ્થળે ગયો હતો.

રિપોર્ટ મુજબ આ મુલાકાત દરમ્યાન RSSના પ્રતિનિધિઓએ રણવીરને સંસ્થાના પ્રથમ બે સરસંઘચાલકોના જીવન વિશે માહિતી આપી હતી અને આ સ્થળનું ઐતિહાસિક મહત્ત્વ સમજાવ્યું હતું. આ દરમ્યાન રણવીરે કાર્યકરો સાથે સંવાદ પણ કર્યો અને RSS સાથે જોડાયેલી સાંસ્કૃતિક સંસ્થા ચિત્રભારતી વિશે જાણકારી મેળવી હતી. રણવીરની આ સમગ્ર મુલાકાતને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી હતી અને કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રણવીર રાત્રે મુંબઈ માટે રવાના થયો હતો.

ranveer singh rashtriya swayamsevak sangh mohan bhagwat bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news