07 July, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર સિંહ
રણવીર સિંહે શનિવારે સાંજે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાંથી તમામ પોસ્ટ્સ ડિલીટ કરી દીધી છે. હવે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પણ પોસ્ટ દેખાતી નથી. આજે રણવીરની ચાલીસમી વર્ષગાંઠ છે અને પોતાના બર્થ-ડેના આગલા દિવસે જ તેણે આ પગલું ભરતાં ફૅન્સને ભારે આશ્ચર્ય થયું છે. રણવીરે પ્રોફાઇલ પિક્ચરમાંથી પોતાનો ફોટો પણ હટાવી દીધો છે અને એની જગ્યાએ બ્લૅક કલર અપડેટ કર્યો છે.
તમામ પોસ્ટ્સ હટાવવાની સાથે રણવીરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ કરી છે. તેણે બે ક્રૉસ તલવારની ઇમોજી સાથે 12:12 લખ્યું છે. આ 12:12 અને તલવારની ઇમોજીનો અર્થ શું છે? તેણે શા માટે તમામ પોસ્ટ્સ હટાવી? આ વિશે ફક્ત રણવીર જ સ્પષ્ટ રીતે જણાવી શકે છે. જોકે એવું માનવામાં આવે છે કે આ પગલાનું કારણ તેની આગામી ફિલ્મ ‘ધુરંધર’ સાથે સંકળાયેલું હોઈ શકે છે
‘ધુરંધર’ ફિલ્મનું નિર્દેશન આદિત્ય ધર કરી રહ્યા છે અને ચર્ચા છે કે તેમણે રણવીરના ચાલીસમી વર્ષગાંઠના અવસરે ‘ધુરંધર’નો ફર્સ્ટ લુક રિલીઝ કરવાની યોજના બનાવી છે. આ તેના ચાહકો માટે એક ખાસ સરપ્રાઇઝ હશે.