રાનીનાં નખરાંથી તોબા

23 September, 2012 05:37 AM IST  | 

રાનીનાં નખરાંથી તોબા



રાની મુખરજીનું અંગત જીવન ભારે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે અને વર્ષોથી તેના તથા આદિત્ય ચોપડાના પ્રેમપ્રકરણની ચર્ચા ચાલી રહી છે. આવા સંજોગોમાં રાનીએ હંમેશાં મિડિયાની નજરોથી દૂર રહેવાનો અને આદિત્ય ચોપડા વિશેના અણગમતા સવાલોનો જવાબ ન આપવાનો અભિગમ અપનાવ્યો છે. આદિત્ય વિશેના સવાલોથી બચવા રાની બને ત્યાં સુધી મિડિયાને મળતી પણ નથી.

હવે જ્યારે રાનીની આગામી ફિલ્મ ‘ઐયા’ આવતા મહિને રિલીઝ થવાની છે ત્યારે આ ફિલ્મના પ્રમોશન માટે રાનીએ ટેલિવિઝન શોમાં ચમકવાનું અને પ્રિન્ટ મિડિયાને ઇન્ટરવ્યુ આપવાનું શરૂ કરી દીધું છે. જોકે પોતાની ફિલ્મનું પ્રમોશન કરવાનું હોવા છતાં રાની મિડિયા સાથે વાત કરતી વખતે એટલીબધી શરતો મૂકે છે કે એનાં નખરાંથી તોબા પોકારાઈ જાય છે.

રાની આ ઇન્ટરવ્યુ આપતાં પહેલાં જ પૂર્વશરત મૂકી દે છે કે તેને આદિત્યને લગતો કોઈ સવાલ નહીં કરવામાં આવે તેમ જ તેના બધા ઇન્ટરવ્યુ રેકૉર્ડ કરવામાં આવે. રાનીની આ શરતોને કારણે પ્રિન્ટ મિડિયાના તમામ પત્રકારોએ પોતાની સાથે ટેપ-રેકૉર્ડર રાખવું પડે છે.  ખબર પડી છે કે રાનીએ આ શરત એટલા માટે રાખી છે કે તેના કોઈ પણ ઇન્ટરવ્યુમાં રિપોર્ટર પોતાના તરફથી વધારાનો મરીમસાલો ન છાંટી શકે.