રાની મુખરજીની ‘અય્યા’ દીવમાં

07 December, 2011 09:06 AM IST  | 

રાની મુખરજીની ‘અય્યા’ દીવમાં



સાઉથના પૉપ્યુલર ઍક્ટર પૃથ્વીરાજ અને રાની મુખરજીને ચમકાવતી પ્રોડ્યુસર અનુરાગ કશ્યપની ફિલ્મ ‘અય્યા’નું શૂટિંગ આજથી દીવમાં શરૂ થશે. આ શૂટિંગ માટે રાની મુખરજી, ફિલ્મના ડિરેક્ટર સચિન કુંડાલકર અને બીજા નેવું વ્યક્તિનો સ્ટાફ ગઈ કાલે બપોરે દીવ પહોંચી ગયાં હતાં. અઢી દિવસના આ શૂટિંગમાં એક ગીત અને રાની મુખરજી પરના અમુક સીન શૂટ કરવામાં આવશે, જે માટે દીવના નાગવા બીચ, ચર્ચ, દીવ ર્ફોટ અને હૉસ્પિટલમાં શૂટિંગ કરવામાં આવશે. આ શૂટિંગમાં ક્યાંય પૃથ્વીરાજની જરૂર નહીં હોવાથી તેને દીવ બોલાવવામાં નથી આવ્યો.

આ પહેલાં હૃતિક રોશન, સંજય દત્ત, પ્રિયંકા ચોપડા અને રિશી કપૂરને ચમકાવતી અમિતાભ બચ્ચનની ‘અગ્નિપથ’ની રીમેકમાં સંજય દત્તના પાત્ર કાંચા ચીનાના ગઢ માંડવાનું શૂટિંગ પણ દીવમાં જ કરવામાં આવ્યું હતું.

અગાઉ ‘નિરોપ’ અને ‘ગંધ’ જેવી ખૂબ જ વખણાયેલી મરાઠી ફિલ્મ ડિરેક્ટ કરી ચૂકેલા સચિનની આ પહેલી હિન્દી ફિલ્મ છે.

‘અય્યા’ની વાર્તા શું છે?

ફિલ્મ એક ટિપિકલ મરાઠી છોકરી અને દક્ષિણ ભારતના એક યુવકની છે. બન્ને મુંબઈમાં પહેલી વાર મળે છે અને પ્રેમમાં પડે છે. સીધીસાદી અને સરળ કહેવાય એવી આ લવસ્ટોરીમાં રાની મરાઠી છોકરી બની છે, જે માટે તેણે મરાઠી ગાળો પણ શીખી છે. રાનીનું કૅરૅક્ટર બોલ્ડ છે જ્યારે જૉબ માટે મુંબઈ આવેલા સાઉથ ઇન્ડિયાના સીધાસાદા યુવકનું કૅરૅક્ટર પૃથ્વીરાજ કરે છે.