23 November, 2023 01:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર
રણબીર કપૂરને ૨૦૧૭માં આવેલી વિજય દેવરાકોન્ડાની ‘અર્જુન રેડ્ડી’ અને ૨૦૧૯માં આવેલી શાહિદ કપૂરની ‘કબીર સિંહ’ અસરદાર લાગે છે. જોકે આ ફિલ્મની ખાસ્સી ટીકા થઈ હતી. આ બન્ને ફિલ્મોને સંદીપ રેડ્ડી વંગાએ ડિરેક્ટ કરી હતી. રણબીરની ‘ઍનિમલ’ પહેલી ડિસેમ્બરે હિન્દી, તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદાના અને બૉબી દેઓલ પણ જોવા મળશે. આ ફિલ્મને પણ સંદીપ રેડ્ડી વંગાએ ડિરેક્ટ કરી છે. એ વિશે રણબીરે કહ્યું કે ‘પ્રામાણિકપણે કહું તો હું ‘ઍનિમલ’ની સ્ક્રિપ્ટ તરફ આકર્ષિત થયો હતો. એની સ્ટોરી અનોખી અને આક્રમક હોવાથી તરત એના તરફ મારું ધ્યાન ગયુ. મેં ‘અર્જુન રેડ્ડી’ અને ‘કબીર સિંહ’ બન્ને ફિલ્મો જોઈ છે. મને એ ફિલ્મો પાવરફુલ અને અસરકારક લાગી છે. જોકે ‘ઍનિમલ’માં કામ કરવાનો મારા નિર્ણયનું કારણ માત્ર એ ફિલ્મો જ નહોતી, મારા માટે એની સ્ક્રિપ્ટ, કૅરૅક્ટર અગત્યનાં હતાં અને સંદીપ રેડ્ડી વંગા સાથે કામ કરવાની તક મળે એ માટે પણ આ ફિલ્મમાં કામ કર્યું.’
ઍનિમલ’ના પોતાના રોલ વિશે રણબીરે કહ્યું કે ‘‘ઍનિમલ’માં મારો રોલ સંદીપ રેડ્ડી વંગાના ચોક્કસ પ્રકારનાં પાત્રો જેવો છે. એ રોલ અઘરો અને કદી સમાધાન ન કરનારો છે. જોકે એ રોલ સાથે જોડાયેલી કઠિનતા અને ઊંડાઈ એને અન્ય કરતાં અલગ કરે છે. તે તાકાત અને સમર્પણ દેખાડે છે. એ વખતે એવી કેટલીક ક્ષણો પણ આવે છે જે અતિસંવેદનશીલ અને વિવાદથી ભરેલી હોય છે, જે એને વધુ વિશ્વાસને પાત્ર વ્યક્તિ તરીકે દેખાડે છે. એથી ‘ઍનિમલ’નો મારો રોલ સંદીપ રેડ્ડી વંગાનાં અગાઉનાં પાત્રો સાથે સમાનતા દેખાડે છે તો સાથે જ એવી કેટલીક બાબતો પણ છે જે તેનાં એ પાત્રોથી જુદો પણ તારવી દે છે.’