સર્જરી કરાવવા માધવનું વિદેશાગમન

02 May, 2012 06:09 AM IST  | 

સર્જરી કરાવવા માધવનું વિદેશાગમન

‘થ્રી ઇડિયટ્સ’ની અસર હજી સુધી આર. માધવન પરથી ઓછી ન થઈ હોવાનું જણાઈ રહ્યું છે. ‘થ્રી ઇડિયટ્સ’ના ડિરેક્ટર રાજકુમાર હિરાણીની આગામી ફિલ્મમાં મહત્વના રોલમાં કાસ્ટ થવાની સાથે ‘થ્રી ઇડિયટ્સ’ના શૂટિંગ દરમ્યાન ઘૂંટણમાં થયેલી ઈજાની પીડા હજી સુધી યથાવત્ છે.

જાણવા મળ્યાં પ્રમાણે માધવન ઘૂંટણની સર્જરી કરાવવા માટે યુએસએ ગયો છે. પ્રવાસની શરૂઆત પહેલાં માધવન કાખઘોડીનો સહારો લઈને ચાલતો જોવા મળ્યો હતો. માધવનની નજીકની વ્યક્તિ કહે છે, ‘તેણે કહ્યું હતું કે ‘થ્રી ઇડિયટ્સ’ના શૂટિંગ દરમ્યાન તેને ઈજા થઈ હતી, પણ મને વિસ્તારથી નહોતું જણાવ્યું. ત્યારથી તેને ઘૂંટણમાં દુખાવો થયા કરતો હતો, પણ તે હંમેશાં નજરઅંદાજ કરી બીજી ફિલ્મોમાં કામ કરતો રહ્યો. દિવસોદિવસ વધતી જતી ઈજાને કારણે હવે દુખાવો સહન ન થઈ શકે એટલો વધી ગયો છે.’

વધુમાં માધવનની નજીકની વ્યક્તિ કહે છે, ‘યુનાઇટેડ સ્ટેટ્સમાં માધવનના ઘણા મિત્રો છે એટલે તેણે ત્યાં સારવાર લેવાનું નક્કી કર્યું છે. તે સારવાર માટે ગયો છે અને સંપૂર્ણપણે સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી પાછો નહીં આવે. એ માટે લગભગ બે મહિના જેટલો સમય લાગશે. તેની પત્ની અને પુત્ર પણ તેની સાથે છે.’

માધવને અમારા મેસેજ કે ફોનનો જવાબ નહોતો આપ્યો, પણ તેનો મૅનેજર ખાતરી આપતાં કહે છે કે ‘થ્રી ઇડિયટ્સ’ના શૂટિંગ દરમ્યાન તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી અને તેની સર્જરી કરાવવા માટે તે યુએસ ગયો છે.