રામ તેરી ગંગા મૈલીના પ્રોડ્યુસર કેવી રીતે બન્યા હતા રણધીર કપૂર?

24 September, 2020 01:31 PM IST  |  Mumbai | Mumbai correspondent

રામ તેરી ગંગા મૈલીના પ્રોડ્યુસર કેવી રીતે બન્યા હતા રણધીર કપૂર?

રામ તેરી ગંગા મેલી

રણધીર કપૂરે સિન્ગિંગ રિયલિટી શો ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’માં જણાવ્યું હતું કે કેવી રીતે તેઓ ‘રામ તેરી ગંગા મૈલી’ના પ્રોડ્યુસર બન્યા હતા. આ શોમાં ક્લાસિક એરાને જાળવી રાખતા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લેજન્ડ રણધીર કપૂરને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. શોમાં તેમણે અનેક જાણી-અજાણી વાતો લોકો સાથે શૅર કરી હતી. આર્યનંદા બાબુએ ‘રામ તેરી ગંગા મૈલી’નું ‘એક રાધા એક મીરા’ ગીત ગાયું હતું. તેના પર્ફોર્મન્સ બાદ ‘રામ તેરી ગંગા મૈલી’ના પ્રોડ્યુસર બનવાની સ્ટોરી જણાવતાં રણધીર કપૂરે કહ્યું હતું કે ‘હું મારા બે ભાઈઓ સાથે દિલ્હીમાં લગ્નમાં હાજરી આપવા માટે ગયો હતો. આ લગ્નમાં રવીન્દ્ર જૈન ઑર્કેસ્ટ્રામાં પર્ફોર્મ કરી રહ્યા હતાં. એમાં તેમણે ‘એક રાધા એક મીરા’ ગીત ગાયું હતું, જે પાપાને ખૂબ ગમ્યું હતું. બીજા દિવસે અન્ય એક ફંક્શનમાં રવીન્દ્ર જૈને પર્ફોર્મ કર્યું હતું. રાજ કપૂરે તેમને ફરીથી એ જ ગીત ગાવાની ફરમાઈશ કરી હતી. તેમણે એ ગીત ગાયા બાદ કહ્યું હતું કે આ તેમનું પર્સનલ કમ્પોઝિશન છે અને એ કોઈ ફિલ્મ સાથે નથી જોડાયેલું. આ સાંભળ્યા બાદ મારા પિતાએ મને 25 હજારનો એક ચેક સાઇન કરવા કહ્યું હતું અને તેમની ઇચ્છા હતી કે આ જ ગીતને તેમની ફિલ્મમાં સામેલ કરવામાં આવે. આવી રીતે હું ‘રામ તેરી ગંગા મૈલી’નો પ્રોડ્યુસર બની ગયો હતો, કેમ કે એ ચેક મેં આપ્યો હતો.’
આ એપિસોડ દરમ્યાન સૌએ રિશી કપૂરને શ્રદ્ધાંજલિ આપી હતી. એ વખતે રણધીર કપૂર ખૂબ ઇમોશનલ થયા હતા. પોતાના દાદાજી પૃથ્વીરાજ કપૂરે રાજ કપૂરના પિતાનો રોલ કરવાની ના પાડી હતી એ વિશે પણ રણધીર કપૂરે કહ્યું હતું કે ‘મારા પિતા રાજ કપૂર અને દાદાજી પૃથ્વીરાજ કપૂર સાથે જે લોકોએ કામ કર્યું હતું તેમની પાસેથી મેં સાંભળ્યું હતું કે ‘આવારા’માં પિતાનો રોલ કરવાની મારા દાદાએ ના પાડી હતી. એ વખતમાં તેઓ સ્ટાર હતા અને એથી તેઓ માત્ર હીરોના રોલ્સ જ કરતા હતા. આ જ કારણ છે કે તેઓ પિતાનો રોલ નહોતા કરવા માગતા. રાજ કપૂરજી થોડા ગભરાતા હતા. એથી તેમણે ખ્વાજા અહમદ અબ્બાસને તેમની પાસે મોકલ્યા જેમણે સ્ટોરી લખી હતી. તેમણે જ દાદાજીને પિતાનો રોલ કરવા માટે મનાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ જ ફિલ્મના રિયલ હીરો રહેવાના છે. રાજ તો સેકન્ડ લીડ ભજવશે. આ રીતે તેમને મનાવવામાં આવ્યા હતા.’

bollywood bollywood news bollywood gossips randhir kapoor